કર્ણાટકમાં કોંગ્રેસને 'બહુમત' પણ સીએમ પદ માટે 'એકમત'ની રાહ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 May 2023

કર્ણાટકમાં કોંગ્રેસને 'બહુમત' પણ સીએમ પદ માટે 'એકમત'ની રાહ


- 13મી મેના પરીણામોને પાંચ દિવસ છતાં મડાંગાંઠ યથાવત્

- અઢી વર્ષ સિદ્ધારમૈયા અને અઢી વર્ષ શિવકુમારને મુખ્યમંત્રી પદની હાઇકમાન્ડની વિચારણા, બે દિવસમાં અંતિમ નિર્ણય જાહેર થવાની શક્યતા

- પહેલા અઢી વર્ષ હું જ મુખ્યમંત્રી રહીશ, તેનાથી ઓછું આપશો તો કોઇ પણ પદ નહીં સ્વીકારું : શિવકુમારનો નાયબ મુખ્યમંત્રી બનવા પણ ઇનકાર

બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસે બહુમત તો મેળવી લીધી છે પણ મુખ્યમંત્રીને લઇને કોંકડુ હજુ પણ ગુંચવાયેલુ છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી માટે અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે ખેંચતાણ ચાલે છે, તેવું જ કઇક હવે કર્ણાટકમાં શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે સામસામે આવી ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે ડી.કે. શિવકુમારે મક્કમ બનીને હાઇકમાન્ડને સ્પષ્ટ કહી દીધુ છે કે મુખ્યમંત્રી તો હું જ બનીશ, અને જો મને મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યો તો બીજુ કોઇ જ પદ નહીં સ્વીકારૂ. જ્યારે હાઇકમાન્ડ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા માગે છે. તેથી કોંગ્રેસે કર્ણાટકમાં બહુમત તો મેળવી લીધી છે પણ મુખ્યમંત્રી પદ માટે એકમતીની રાહ જોવાઇ રહી છે.

એવા અહેવાલો છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સિદ્ધારમૈયાને જ કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવા માગે છે. જ્યારે ડી.કે. શિવકુમાર પણ મુખ્યમંત્રી બનવા માગે છે. એવામાં હાઇકમાન્ડે શિવકુમાર સમક્ષ બે પ્રસ્તાવ રજુ કર્યા છે. જેમાં અઢી વર્ષ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીનુ પદ આપવાનું અને અઢી વર્ષ ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી પદ સોપવાનું. જોકે આ પ્રસ્તાવને લઇને પણ ડી.કે. શિવકુમાર પાછીપાની કરવા તૈયાર નથી. તેમણે પણ હાઇકમાન્ડ સમક્ષ શરત મુકી દીધી છે કે આ ફોર્મ્યૂલા હું સ્વીકારવા તૈયાર છું પણ મારી એક શરત છે. પ્રથણ અઢી વર્ષ મને જ મુખ્યમંત્રીનું પદ સોપવામાં આવે, પછીના અઢી વર્ષ સિદ્ધારમૈયાને આપવામાં આવે. 

મુખ્યમંત્રી પદનું કોંકડુ ગુંચવાઇ જતા બેંગ્લુરૂમાં જે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી તેને રોકવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં ડી.કે. શિવકુમાર સાથે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ બંધબારણે બેઠક યોજી હતી અને તેમને આ અઠી વર્ષની ફોર્મ્યૂલા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમને ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવવા ઉપરાંત પોતાની પસંદગીના છ મંત્રાલય આપવાની સાથે સાથે કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ પણ સોપવાની ઓફર કરી હતી. જોકે ડી.કે. શિવકુમાર માનવા તૈયાર નથી. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો મને મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યો તો પણ હું ચુપ રહીશ અને પક્ષ સામે બળવો નહીં કરૂ. 

આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે હાલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર-વિમર્શ કરી રહ્યા છે. આગામી ૪૮થી ૭૨ કલાકમાં કર્ણાટકમાં નવું મંત્રીમંડળ હશે. આ રસાકસી વચ્ચે ડી.કે. શિવકુમારે પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હીમાં તેમના ભાઇ અને સાંસદ ડીકે સુરેશના ઘરે બેઠક યોજી હતી અને પોતાનું પલડુ ભારે કરવાનો પ્રયાસ કર્યો હતો. એવા પણ અહેવાલો છે કે હાઇકમાન્ડ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા માગે છે એવામાં ડી.કે. શિવકુમારે હાઇકમાન્ડ સમક્ષ સિદ્ધારમૈયાની ફરિયાદો કરવાનું પણ શરૂ કરી દીધુ છે. અને સિદ્ધારમૈયાની ખામીઓ ગણાવવા લાગ્યા છે. સુત્રોના દાવા મુજબ શિવકુમારે ખડગેને કહ્યું હતું કે સિદ્ધારમૈયાનો અગાઉનો કાર્યકાળ સારો નથી રહ્યો. લિંગાયત સમુદાય પણ તેમની વિરૂદ્ધ છે. તેઓ અગાઉ મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે એવામાં હવે કોઇ બીજાને તક આપવી જોઇએ. સાથે જ ડી.કે. શિવકુમારે હાઇકમાંડને સંદેશો પણ મોકલ્યો છે કે કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ તેમની નેતાગીરી હેઠળ લડી છે અને તેઓ પ્રદેશ પ્રમુખ પણ છે તેથી પણ તેમને તક આપવી જોઇએ. હાલ પરિસ્થિતિ એવી છે કે હાઇકમાંડ રાજસ્થાનની જેમ  વરીષ્ઠ નેતા (સિદ્ધારમૈયા)ને મુખ્યમંત્રી બનાવવા માગે છે પણ સચિન પાયલટની જેમ ડી.કે. શિવકુમાર તેનો સ્વીકાર કરવા તૈયાર નથી.

કર્ણાટકનું કોકડું કેમ ગુંચવાયું ? સોશિયલ મીડિયા પર ચર્ચા

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસનું કોંકડું કેમ ગુંચવાયું છે તેને લઇને સોશિયલ મીડિયા પર પણ  ચર્ચા ચાલી રહી છે.  સોશિયલ મીડિયા પર એક વાઇરલ થયેલા સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે માતા (સોનિયા ગાંધી) ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માગે છે, પુત્ર (રાહુલ ગાંધી) ઇચ્છે છે કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવો, પુત્રી (પ્રિયંકા ગાંધી) ઇચ્છે છે કે આ અંગેનો નિર્ણય ખડગે લે, શિવકુમાર ઇચ્છે છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, સિદ્ધારમૈયા ઇચ્છે છે કે તેમને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે, એવામાં મુખ્યમંત્રીનું પદ કોને સોપવુ તેને લઇને અધ્યક્ષ ખડગે અસમંજસમાં છે. 

સિદ્ધારમૈયા પહેલી પસંદ હોવા પાછળના કારણો

એવા અહેવાલો છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ કર્ણાટકના વરીષ્ઠ નેતા સિદ્ધારમૈયાને એટલા માટે પણ મુખ્યમંત્રી પદ સોપવા માગે છે કેમ કે તેઓ કર્ણાટકના ગરીબ, ઓબીસી, આદિવાસીઓ, લઘુમતી દરેકમાં પ્રખ્યાત નેતા છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં કોંગ્રેસને આશા છે કે જો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં પણ થઇ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xd1Fy9w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages