
- ધર્માંતરણ અને ધાર્મિક કટ્ટરવાદ દર્શાવતી આ ફિલ્મ 5મી મેના દિવસે રૂપેરી પર્દે રજૂ થવાની છે
નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે આજે (બુધવારે) 'ધી કેરાલા સ્ટોરી' નામક ચલચિત્ર રજૂ કરવા સામેની જમીયત-ઉલેમા-એ-હિન્દની અરજી ફગાવી દીધી છે. આ ફિલ્મ મૂળભૂત રીતે ધર્મ પરિવર્તન અને ધાર્મિક કટ્ટરવાદ ઉપર આધારિત છે. આ ફિલ્મ સામાન્ય સંયોગોમાં તા. ૫મીએ અને શુક્રવારે રૂપેરી-પર્દે રજૂ થવાની છે.
આ ફિલ્મ રજૂ કરવા સામે કરેલી અરજીના અરજદારો (જમીયત-ઉલેમા-એ હિન્દ) વતી કોર્ટમાં રજૂઆત કરતા એડવોકેટ બ્રિન્દા ગ્રોવરે મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડના નેતૃત્વ નીચેની બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, 'તે એક સમાજને ખરાબ ચીતરે છે, અને તે સત્ય છે તેવો પ્રચાર પણ કરે છે. આ પહેલા એક ડીસ્ક્લેઇમર (સ્પષ્ટતા) પણ કરી નથી કે આ ફિલ્મ કલ્પના આધારિત છે. ઉલ્ટાનું તેઓ એમ કહે છે કે, 'આ સત્ય છે'.' એડવોકેટ બ્રિન્દા ગ્રોવરે આ અરજી તત્કાળ સુનાવણી માટે રજૂ કરી હતી. કારણ કે આ ફિલ્મ તા. ૫ મે અને શુક્રવારે જ રૂપેરી પર્દે રજૂ થવાની છે.
આ માટે બ્રિન્દા ગ્રોવરે સંવિધાનનો આર્ટિકલ ૩૨ પણ ટાંક્યો હતો. પરંતુ આથી બેન્ચ પ્રભાવિત થઈ ન હતી. ન્યાયમૂર્તિઓએ કહ્યું કે, અનુચ્છેદ ૩૨ દરેક કેસમાં ઉપયોગમાં લઈ શકાય નહીં તે દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ જરૂર થાય છે તેમ છતાં આર્ટિકલ ૨૨૬ હાઇકોર્ટને તેના કે અન્ય કોઈ બાબતોના અમલ માટે નિર્ણય લેવાની સત્તા આપે છે.
આ ફિલ્મના નિર્માતાઓ વતી રજૂઆત કરતા સીનીયર કાઉન્સેલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે ઃ કેરલ હાઇકોર્ટમાં આને લગતો કેસ ક્યારનો ય ચાલી જ રહ્યો છે.
આ સાથે પીટીશન (અરજી) સ્વીકારવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટે અરજદાર (જમીયત-ઉલેમા-એ હિન્દ)ને હાઇકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો.
આ પૂર્વે મંગળવારે જ (કેરલ હાઇકોર્ટ)ના ન્યાયમૂર્તિ કે. એમ. જોસેફના નેતૃત્વ નીચેની એક અન્ય બેન્ચે 'ધી કેરાલા સ્ટોરી' નામક ચલચિત્રના પ્રદર્શન ઉપર 'સ્ટે' મૂકવાનો ઇન્કાર કર્યો હતો.
જમીયત-ઉલેમા એ હિન્દે 'ધી કેરાલા સ્ટોરી' ચલચિત્ર થિયેટરોમાં, ઑટીટી પ્લેટફોર્મ ઉપર કે તેવા અન્ય કોઈ માર્ગે રજૂ કરવા સામે 'સ્ટે' માગતા જણાવ્યું હતું કે, તેથી સમાજના વિવિધ વર્ગોમાં ધિક્કાર અને વૈરભાવની લાગણી ફેલાશે.
આ ઉપરાંત તે મુસ્લિમ સંગઠને ફિલ્મના ટ્રેઇલરને ઇન્ટરનેટ ઉપર અને/ અથવા બીજી કોઈ પણ રીતે રજૂ કરવા ઉપર પણ 'સ્ટે' મૂકવા રજૂઆત કરી હતી. સીબીએફસીએ અયોગ્ય 'સીન' તથા ડાયલોગ ફિલ્મમાંથી દૂર કરવા જોઈએ તેટલું જ નહી પરંતુ સાથે તેની પણ સ્પષ્ટતા (ડિસ્ક્લેઇમર) કરવી જોઈએ કે, આ ફિલ્મ એક નવલકથા આધારિત છે અને તેના પાત્રોને કોઈ જીવંત કે મૃત વ્યક્તિઓ સાથે કોઈ સંબંધ નથી તેમ પણ જણાવ્યું હતું.
આ મુસ્લીમ જૂથે રજૂ કરેલી તેની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ સમગ્ર મુસ્લિમ સમાજને હલકો દર્શાવે છે પરિણામે તેઓના જીવન અને જીવિકા બંને ઉપર અસર થશે તેટલું જ નહીં પરંતુ તે સંવિધાનના આર્ટિકલ ૧૪ અને ૨૧ ઉપરના કાપ સમાન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h0Fm4ga
No comments:
Post a Comment