
- આ થિયરી રજૂ કરનાર કોઇ ધાર્મિક વ્યક્તિ કે સંત નથી પણ વિજ્ઞાાન સાથે સંકળાયેલ નામાંકિત પ્રોફેસરો છે...
- કરોડોની સંખ્યામાં પક્ષીઓ, પ્રાણીઓ અને માછલાઓનો ભોગ માનવજાત પોતાના ખોરાક માટે લે છે. આ અબોલ જીવોનો ચિત્કાર પૃથ્વી પર ટકરાઇને એક પ્રકારના તરંગો ઉભા કરે છે....
- પ્રાણીની કતલ કરાય છે ત્યારે તેનામાંથી નીકળતી દર્દનાક ચીસ ભલે કોઇ ના સાંભળે પણ તે કુદરત સાંભળે છે અને પછી તે પ્રત્યાઘાત આપે છે. કુદરતનો આ પ્રત્યાઘાત એટલે ધરતીકંપ...
ડો.મદનમોહન બજાજ એ પ્રાણીઓના ઉત્કર્ષ માટે કોઇ સંસ્થા નથી ચલાવતા, નથી તો તે પ્રાણીઓ પરના અત્યાચાર માટે કોર્ટમાં જતા. તે યુનિવર્સિટી ઓફ દિલ્હીના ટોચના વિજ્ઞાાની છે. તે ઇન્ટરનેશનલ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ વેલફેર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ છે અને ઇમ્યુનોફિઝીક્સ, ન્યુકલીયર બાયો ફીઝીક્સ અને એસ્ટ્રોફીઝીક્સના વડા છે. જ્યાં તે ૧૯૬૮થી શિક્ષણ આપે છે.
ઇન્ડિયન સોસાયટી ઓફ જીનેટીક્સ એન્ડ પ્લાન્ટ બ્રિડીંગ, ઇન્ડિયન એકેડેમી ઓફ મેડિકલ ફિઝીક્સ, જાપાન સોસાયટી ઓફ મેડિકલ ફિઝીક્સ, અમેરિકન કેમિકલ સોસાયટી, ફિઝીકલ સોસાયટી ઓફ જાપાન,જાપાન સોસાયટી ફોર મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ,બાંગ્લાદેશ ફિઝીકલ સોસાયટી, ફિઝીકલ સોસાયટી ઓફ નેપાલ, ઇન્ડિયન સોસાયટી ફોર કેન્સર કેમોથેરાપી,સોસાયટી ફોર ફીઝીયોલોજીસ્ટ એન્ડ ફાર્માકોલોજીસ્ટ ઓફ ઇન્ડિયા જેવી નામાંકિત સંસ્થાઓની ફેલોશીપ ધરાવે છે તેમજ તેની સાથે સંકળાયેલા છે. તેમણે ૩૦૦થી વધુ રિસર્ચ પેપર રજૂ કર્યા છે.
ડો. બજાજ ૧૫ સાયન્ટિફીક બુકના સહાયક લેખક છે. તેમણે કૃષ્ટરોગના દર્દીઓના સંતાનો માટે મહાત્મા ગાંધી સ્કુલની સ્થાપના કરી છે. ટૂંકમાં કહીએ તો ડો. બજાજ વિજ્ઞાાન સાથે વણાયેલા છે તેમજ માનવતા વાદી છે.
અત્યાર સુધી ધરતી કંપ થવાના કારણો શોધવા અશક્ય હતું. માનવજાત હજુ સુધી તેની પાછળના કોઇ નક્કર કારણો શોધી શકી નથી. પુસ્તકમાં લખાયું છે કે પક્ષીઓ,પ્રાણીઓ અને માછલાંઓના અવિરત સંહારના કારણે તેમને થતા દર્દ અને યાતનાની અસરના પગલે ધરતીકંપ થાય છે. પુસ્તકમાં એવો દાવો કરાયો છે કે અબોલ જીવોના ચિત્કારના કારણે એક પ્રકારના ફીઝીકલ તરંગો ઉભા થાય છે.
આ થિયરીને જીઓલોજીસ્ટો તરતજ નકારી કાઢે તે સ્વભાવિક છે તે ઉપરાંત કેટલાક વિજ્ઞાાનીઓએ આ થિયરીને હસી કાઢી હતી.પરંતુ અહીં એ યાદ રાખવું જોઇએ કે માનવજાતની લાઇફને આસાન બનાવનાર અનેક સંશોધનોને શરૂઆતમાં હસી કઢાયા હતા. જેમકે ડ્રાઇવર વિનાની કાર,કોર્ડલેસ ટેલિફોન, સેલ્સને મલ્ટીપ્લાય કરીને બનાવેલું આર્ટીફીશ્યલ મીટ, દરિયાઇ મોજાથી વિજળી પેદા કરવી જેવા અનેક સંશોધનોને શરૂઆતમાં હસી કાઢવામાં આવ્યા હતા.
યુરી ગીલર યાદ છે ને? આ માણસ પ્રખ્યાત એટલા માટે થયો હતો કે તે પોતાના મનની શક્તિ ધ્વારા ચમચો વાળી શકતો હતો. ત્યાર બાદ મગજની શક્તિનો ઉપયોગ કરવાના ક્લાસ રશિયાથી ઇટલી સુધીની સ્કુલોમાં શરૂ થયા હતા. મેં તેમાંના કેટલાક ક્લાસ જોયા પણ છે.
ભારતમાં અનેક સંતો અને સ્વામીઓ એવા છે કે જે રોગ મટાડી આપે છે અને ભાવિ બદલી આપે છે. તે જે તે વ્યકિત પર ધ્યાન કેન્દ્રીત કરીને સારવાર કરતા હોય છે. આગામી કેટલાક સમય પછી શું થવાનું છે તે કહી આપતા લોકો પણ છે, તર્ક સંગત દલીલ કરનારા એમ કહે છે કે આતો કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો ઘાટ હોય છે.
અહીં પ્રશ્ન એ છે કે શું મન એનર્જીના તરંગો ઉભા કરી શકે ખરા? આ પ્રશ્નનો જવાબ શિકાગો ખાતે સ્વામિ વિવેકાનંદે આપેલા લેક્ચરમાંથી મળી શકે છે. તેમણે કહ્યું હતું કે કેટલાક વિસ્તારો પર કાળા પાતળા વાદળાં નજરે પડે છે. તે અમેરિકાના સૌથી મોટા કતલખાનાની ઉપરના હતા. કતલ થતા પ્રાણીઓની નિરાશાના તરંગોના કારણેે આ વાદળો ઉભા થયા હતા.
જંગ નામના વિજ્ઞાાનીએ પેરા નોર્મલની થિયરી આપી હતી. જે ઇન્ટયુસન સાથે સંકળાયેલી હોય છે. જેને સુપર નોર્મલ પણ કહી શકાય. આલ્બર્ટ આઇન્સટાઇને પણ આઇન્સટાઇન પેઇન વેવ્ઝ થિયરી પર ભાર મુક્યો હતો. ઈઁઉને બજાજ-ઇબ્રાહીમ-સિંગની જોડીએ આગળ વધારી છે એમ કહી શકાય.
આ લેખકોએ તેમની થિયરીને ઉદાહરણો આપીને આગળ વધારી હતી. જ્યાં લાખો પ્રાણીઓની કતલ થાય છે ત્યાં ઘરતીકંપો આવ્યા છે તે વિગતવાર રીતે જણાવ્યું છે. આવી જગ્યાઓ સેસ્મિક ઝોન તરીકે બની જાય છે. આ થિયરી અનુસાર જ્યારે તરંગોનો ભાર પૃથ્વીના પોપડા પર વધે છે ત્યારે તે પેટાળ પર પ્રેશર વારે છે અને તેના કારણે ધરતીકંપ થાય છે.
પુસ્તકમાં એવી દલીલ કરાઇ છે કે જ્યારે પ્રાણીની કતલ કરાય છે ત્યારે તેનામાંથી નીકળતી દર્દનાક ચીસ ભલે કોઇ ના સાંભળે પણ તે કુદરત સાંભળે છે અને પછી તે પ્રત્યાઘાત આપે છે. કુદરતનો આ પ્રત્યાઘાત એટલે ધરતીકંપ. રોજ જ્યારે લાખો પ્રાણીઓની કતલ થાય ત્યારે તેમની હાયના કારણે ઉભા થતા તરંગો વિનાશ સર્જી શકે છે.
હોય છે. શું આવું શક્ય છે? કેમ નહી? વર્ષો પહેલાં જ્યારે ૧૯૧૬માં આઇન્સટાઇને ગુરૂત્વાકર્ષણના તરંગોની વાત કરી ત્યારે વિજ્ઞાાનીઓેએ તેને હસી કાઢી હતી.
૧૦૦ વર્ષ બાદ તે સંશોધન મહત્વનું સાબિત થયું હતું. ૧૬મી સદીમાં જ્યારે ગીરોડાનો બૂ્રનોએ દાવો કર્યો હતો કે સૂર્ય એક તારો છે અને બ્રહ્માંડમાં અનેક રહસ્યો છુપાયેલા છે. તેને જીવતો બાળી નખાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ તો આજે પણ ગ્લોબલ વોર્મીંગને એક ભ્રમણા ગણે છે.
અબોલ જીવોના ચિત્કાર માપવાની કોઇ ટેકનોલોજી નથી આવી ત્યાં સુધી તરંગોવાળી વાત કોઇ સ્વિકારશે નહીં.
એક સ્પેનિશ કહેવત છે કે ...ભગવાને કહ્યું છે કે લેવું હોય એટલું લઇ લો પણ પછી તો તમારે જ ચૂકવવાનું છે...
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3leoT9z
No comments:
Post a Comment