(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
કોરોનાના કારણે પહેલા લોકડાઉન અને પછી કારીગરોની અછતને કારણે ચિંતામાં મુકાયેલ સુરત ટેકસ્ટાઈલ ઉદ્યોગને દિવાળી ફળશે. કારણકે હજી દિવાળીને એક અઠવાડિયાનો સમય બાકી છે અને ટેકસ્ટાઈલ ઉદ્યોગે 3500 કરોડનો વેપાર પણ કરી લીધો છે. મહત્વની વાત એ છે કે 35 ટકા જેટલો વેપાર ઓનલાઈન થયો છે.
કોરોનાને કારણે અનલોક દરમિયાન શરૂ થયેલી માર્કેટમાં વેપાર જોઈએ તેવો જોવા મળતો નહોતો. જેના કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતા અને વેપારીઓને આશા નહોતી કે કોરોનાની મહામારી વચ્ચે ચાલીસ ટકા જેટલો પણ વેપાર થઈ શકશે. પરંતુ ઓનલાઈન ઓર્ડરને કારણે 35 ટકા જેટલો વેપાર થતા વેપારીઓની ચિંતા દૂર થઈ છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમ્યાન 6000 કરોડનો વેપાર થયો હતો. જ્યાં ચાલુ વર્ષે માત્ર દિવાળીના આઠ દિવસ અગાઉ જ અંદાજીત 3500 કરોડનો વેપાર ટેકસ્ટાઈલ ઉદ્યોગ દ્વારા કરી લેવામાં આવ્યો છે. એટલે કે કોરોનાની મહામારી હોવા છતાં પણ 60 ટકા જેટલો વેપાર થતાં વેપારીઓ પણ ચિંતામુક્ત થયા છે.એટલું જ નહીં પરંતુ દિવાળી બાદના પોંગલ અને લગ્ન પ્રસંગમાં પણ વેપાર થવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
ફોસ્ટા પ્રમુખ રંગનાથ શારદાએ કહ્યું કે, દિવાળીના દિવસો શરૂ થતાં જ રાજ્ય બહાર થી ઓનલાઈન ઓર્ડરો મળ્યા હતા. જેના કારણે વેપારીઓનો દુકાનોમાં રહેલ માલ પણ નીકળી ગયો છે. કોરોનાની મહામારીના કારણે મોટાભાગના વેપારીઓ સુરત આવી શકતા ન હોવાથી સોશિયલ મીડિયા,ફેસબુક તેમજ વોટ્સએપ માધ્યમથી વેપારીઓને ડિઝાઇન અને સેમ્પલોના ફોટોગ્રાફ મોકલવામાં આવતા હતા. જેના આધારે રાજ્ય બહારના વેપારીઓ સુરતના વેપારીઓને ઓર્ડર આપી રહ્યા હતા. લેબરો ઓછા હોવાના કારણે પ્રોસેસિંગ હાઉસમાં પણ માત્ર 50 થી 60 ટકા કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેની સામે ટેકસ્ટાઈલ માર્કેટમાં વેપારીઓ પાસે માલનો સ્ટોક બચ્યો નથી. જ્યાં ડિમાન્ડ વધુ છે પરંતુ ઉત્પાદનમાં ઘટાડો છે . આ વર્ષે માત્ર ૨૫ ટકા રાજ્ય બહારના વેપારીઓ જ સુરત આવ્યા હતા. જો કે દિવાળી પછીનો પોંગલ તહેવાર અને લગ્ન પ્રસંગમાં પણ વેપાર થવાની આશા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mYQNa2
No comments:
Post a Comment