
મુંબઈ,તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર
ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં બિહારના લોકોને મફતમાં કોવિદની વેક્સિન (રસી) પુરી પાડવાનું વચન આપ્યા બાદ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના મંત્રી નવાબ મલિકે પણ એવી જાહેરાત કરી છે કે અમારી સરકાર પણ બધાને મફતમાં કોવિદની રસી પુરી પાડશે.
'આખા દેશમાં કોવિદનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ભાજપની માત્ર બિહારને મફત વેક્સિન આપવાની જાહેરાત બીજા રાજ્યોના લોકોને અન્યાય કરનારી છે. મહારાષ્ટ્રમાં અમારી સરકાર પણ નિઃશુલ્ક વેક્સિન આપશે,' એમ તેમણે જણાવ્યું હતું. મલિકે એવો મત દર્શાવ્યો હતો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (ડબલ્યુએચઓ)એ ૩૧ ડિસેંબર, ૨૦૧૯ ના રોજ કોરોના વાયરસ વિશે એલર્ટ કર્યા બાદ કેન્દ્ર સરકારે તરત સરહદો સીલ કરી દીધી હોત તો દેશવાસીઓના અસંખ્ય મોત અને બેરોજગારીનું કારણ બનનાર કોરોના લોકડાઉન ટાળી શકાયો હોત. દેશના કોવિદ-૧૯ના કુલ એક્ટિવ (સક્રિય) દર્દીઓમાંથી ૨૫ ટકા એકલા મહારાષ્ટ્રમાં છે.
આખા રાજ્યમાં કોવિદ-૧૯ વેક્સિનેશન (રસીકરણ) માટે મહારાષ્ટ્ર સરકારે હેલ્થ વર્કર્સ (આરોગ્ય કર્મીઓ)નો ડેટાબેઝ બનાવવાની તૈયારીઓ શરૂ કરી એ જ દિવસે શનિવારે મલિકની ઉક્ત જાહેરાત આવી પડી છે. જાહેર આરોગ્ય ખાતાના પ્રમુખ સચિવ ડો. પ્રદીપ વ્યાસે રાજ્યભરના ડિવીજનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને મહાપાલિકા કમિશનરોને લખેલા એક પત્રમાં એવી તાકીદ કરી છે કે સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સંસ્થાનોએ ૨૫ ઓક્ટોબર સુધીમાં હેલ્થ વર્કર્સના ડેટાબેઝનું કામ પુરુ કરી નાખવું જોઈએ. 'મુખ્ય સચિવ ૨૬ ઓક્ટોબરે બપોરે ૧૨.૩૦ વાગે એક વિડીયો કોન્ફરંસમાં આ બાબતની તૈયારીઓ અને પ્રગતિની સમીક્ષા કરશે,' એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. ભારત સરકારની ગાઇડલાઇન્સ અન્વયે આ સમગ્ર કામગિરી ૩૧ ઓક્ટોબર સુધમાં પુરી થઈ જવી જોઈએ.
હેલ્થ વર્કર્સનો ડેટાબેઝ પુરો કરવા ડો. વ્યાસે ડિવીજનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને મહાપાલિકા કમિશરોને તબીબોના સંગઠનો ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનો, ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રિક્સ, ફેડરેશન ઓફ ઓબ્સેટ્રેટિક અને ગાયનેકોલોજિકલ સોસાયટીઝની મદદ લેવા પણ જણાવ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3olggfv
No comments:
Post a Comment