
કલોલ,તા.01 મે 2020, શુક્રવાર
કલોલમાં આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહેતા એક કિન્નરની તેના ઘરમાં અતિશય દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં કિન્નરની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીને ઝડપી લેવા ઊંડી તપાસ શરૂ કરી છે.
કલોલ તાલુકા પોલીસ મથકની બાજુમાં આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહેતો ૪૨ વર્ષિય અમિત ઉર્ફે કાળુ માસી બાલમુકુંદ વર્મા કિન્નર છે અને ઘરમાં એકલો જ રહે છે. ૨૯ એપ્રિલના રોજ તેના ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતી હોવાથી આસપાસના રહીશોએ તેના બનેવી કુમારભાઇને આ ઘટનાની જાણ કરી હતી.
જો કે લોકડાઉન અને રાત પણ હોવાથી તેના બનેવી અને બહેન બીજા દિવસે તેના ઘરે આવ્યા હતા અને જોયું તો મકાન બહારથી બંધ હતું. બારીમાંથી જોતા અમિત ઉર્ફે કાળુમાસી પલંગમાં સુતેલી હાલતમાં હતો અને ઘરમાંથી ખૂબ જ વાસ પણ આવતી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતાં કિન્નર મૃત હાલતમાં હતો અને લાશ પણ સડી ગઇ હતી.
પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. ત્યારે પીએમ રિપોર્ટમાં કિન્નરના માથાના ભાગે અને જડબાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાની આ ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવતાં પોલીસે તેના બનેવી કુમારભાઇની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. કિન્નરના ઘરે કોણ આવતું હતું તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બોથડ પદાર્થના ઘા મારવાથી કિન્નરનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. કિન્નરની હત્યા કરનાર અજાણ્યા ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VVRRRo
No comments:
Post a Comment