
- હેડ ક્વાર્ટરનો જયદીપસિંહ ચાવડા ચાલુ ફરજે કોઇની પરવાનગી વગર પોતાના અને મિત્રના પરિવારને વતન મુકવા ગયો હોવાનો ભાંડો ફૂટયો
વલસાડ, તા. 3 મે 2020, રવિવાર
વલસાડમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે તેના અને તેના પોલીસ કર્મચારી મિત્રના પરિવારને ચાલુ નોકરીએ ગાંધીનગર અને મહેસાણા મુકી આવી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા. તા.૩૦ના રોજ મિત્રના પરિવારને છોડયા બાદ મહેસાણા ખાતે તેના મિત્રની પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચાલુ નોકરીએ વતન જવાનો પો.કો.નો ભાંડો ફુટયો હતો. જેથી પોલીસે કોરોના વોરિયર્સના નામને ધબ્બો લગાવનારા પો.કો. સામે ગુનો નોંધવાની ફરજ પડી છે.
વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ જયદીપસિંહ પૃથ્વીસિંહ ચાવડા (ઉ.વ.૩૧ રહે. પોલીસ હેડક્વાર્ટર, વલસાડ) તા.૩૦ એપ્રિલના રોજ સવારે ૫-૦૦ કલાકે ચાલુ ફરજે કોઇની પણ પરવાનગી લીધા વગર પોતના પત્ની જુલીબેન, પુત્ર નક્ષરાજસિંહ તેમજ પોલીસ કર્મચારી મિત્ર નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. પોલીસ હેડક્વાર્ટર, વલસાડ)ની પત્ની મિતાલબેન અને તેના પુત્ર રવરાજસિહને પોતાની ફોર વ્હીલર (નં.જીજે-૧૮-બીસી૮૦૩૬)માં લઇને વતન મુકવા ઉપડયો હતો.
જયદીપસિંહે પોતાના પરિવૌરને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વેડા ગામે ઉતારીને મિત્રના પરિવારને મહેસાણા જિલ્લાના સુદાસણા ગામે મુકીને તેજ દિવસે રાત્રે વલસાડ પરત આવી નોકરી પર લાગી ગયો હતો. બીજી તરફ તેના મિત્ર નરેન્દ્રસિંહના પત્ની મિત્તલબેન અને પુત્ર રવરાજસિંહના કોરોની મહેસાણામાં ચકાસણી થતાં બંનેના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પો.કો.નો ચાલુ ફરજે વતન જવાનો ભાંડો ફુટવા સાથે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બહાર આવતાં મોડી રાત્રે વલસાડ એસપી સુનિલ જોષી પોલીસ હેડક્વાર્ટર ધસી ગયા હતા. અને તેમણે પોલીસ માટે ખુબ જ શરમજનક કૃત્ય કરનાર જયદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવતા નૈતિક ફરજમાં ચુક, લોકડાઉન ભંગ અને એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૩ સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગે જયદીપસિંહ અને નરેન્દ્રસિંહને સિવિલમાં કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જોકે, મોડી સાંજે બંનેના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
પોલીસ હેડક્વાર્ટર પર કોરોનાનો ખતરો ?
વલસાજ પોલીસ હેડક્વાર્ટરથી મહેસાણા ગયેલા પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહના પત્ની અને પુત્રનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ બંનેને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો ? તેની તપાસ થઇ રહી છે. તેઓ તા.૩૦મીએ વતન ગયા હતા ત્યારે તેમને કોરોનાનો ચેપ વલસાડથી લાગ્યો હોય એવી શક્યતાઓ લાગી રહી છે. જો, તેમને વલસાડમાંથી ચેપ લાગ્યો હોય તો વલસાડ પોલીસ હેડક્વાર્ટર અને મોગરાવાડીના અનેક વિસ્તાર કન્ટાઇન્મેન્ટ ઝોનમાં આવી જશે. અને હેડક્વાર્ટરમાં રહેતા અનેક પોલીસ કર્મચારી હોમ ક્વોરેન્ટાઇન થઇ જશે. જોકે, તેને મુકવા ગયેલા જયદીપસિંહ અને તેના પતિ નરેન્દ્રસિંહના રિપોર્ટ આવે પછી પરિસ્થિતિનો તાગ મેળવાશે. જોકે, હાલની પરિસ્થિતિ જોતાં હેડક્વાર્ટર વિસ્તારમાં સેમ્પલીંગ વધારાય એ જરૂરી બન્યું છે.
સંપર્કમાં આવેલા ૭ વ્યક્તિને અટગામમાં કોરેન્ટાઇન કરાયા
પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ રાઠોડના પત્ની મિતાલીબેન અને તેમના પુત્ર રવિરાજ ૩૦મીએ ગયા અને તા.૨જીએ રિપોર્ટ આવ્યો હતો. તેમને વલસાડમાં ચેપ લાગ્યો હોવાની સંભાવનાને લઇ તેમના સંપર્કમાં આવેલા વલસાડ પોલીસ હેડક્વાર્ટર (પોલીસ લાઇન)માં રહેતા ૭ વ્યક્તિઓને હાલ અટગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ક્વોરેન્ટાઇન કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bZNzy9
No comments:
Post a Comment