
દેશમાં એક મહિનામાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા
વિદેશથી આવેલા ભારતીયો પણ કોરોનાના પ્રસાર માટે કારણભૂત
નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર
ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૪૮નાં મોત નીપજ્યાં છે અને ૬,૨૦૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૧,૨૮,૮૪૦ થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૩,૭૮૨ થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતાં ભારત રવિવારે વિશ્વના ટોચના ૧૦ કોરોના સંક્રમિત દેશોની યાદીમાં સામેલ થઈ જશે તેમ મનાય છે. હાલ ભારત આ યાદીમાં ૧૧મા ક્રમે છે. ભારતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે ૩,૦૦૦થી વધુએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના દૈનિક ૫,૫૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૧૬૦થી વધુનાં મોત નીપજ્યાં છે તેમ વિવિધ રાજ્યોના આંકડાઓ પરથી જણાય છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળા પાછળનું એક કારણ પરપ્રાંતીય મજૂરોનું વતન પરત ફરવું છે. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમિતોમાં વિશેષ ટ્રેનો અને બસોમાં વતન પરત ફરેલા મજૂરોનો સમાવેશ થાય છે. સિક્કિમમાં આટલા સમયમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. દિલ્હીથી પરત ફરેલો ૨૫ વર્ષનો એક વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ભારતમાં ૩૦મી જાન્યુઆરીએ કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયા બાદથી સિક્કિમમાં આ પહેલો કેસ છે.
દેશમાં પરપ્રાંતીય મજૂરોના વતન પરત ફરવાથી હવે પરિસ્થિતિ એ થઈ છે કે પરપ્રાંતીય મજૂરો તેમના ગામોમાં પહોંચ્યા બાદથી ત્યાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે જ્યારે બિહારમાં સંક્રમિત લોકોમાંથી અંદાજે ૪૬ ટકા લોકો વતન પરત ફરેલા મજૂરો હોવાનું જણાવાય છે. મજૂરોના વતન પરત ફરવા સાથે સૌથી મોટી ચિંતા નાના શહેરોમાં પણ કોરોનાનો પ્રસાર છે. અગાઉ દેશના નાના શહેરો અને ગામડામાં કોરોનાના પ્રસારની ગતિ ધીમી હતી, પરંતુ હવે ત્યાં દરરોજ વધુ ને વધુ સંખ્યામાં કોરોના પોઝિટિવ લોકો મળી રહ્યા છે.
કોરોનાના પ્રસાર માટે પરપ્રાંતીય મજૂરોની સાથે વિદેશમાંથી વિશેષ ફ્લાઈટ્સમાં આવેલા ભારતીયો પણ બીજું મોટું કારણ છે. કોરોનાના વધતા કેસોની સાથે હવે સોમવારથી સ્થાનિક હવાઈ સેવા પણ શરૂ થઈ રહી હોવાથી અનેક લોકોએ કોરોનાનું જોખમ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોએ સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં વિલંબ કરવાની માગ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના આંકડા દર્શાવે છે કે દેશમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના ૧ લાખ કેસ નોંધાયા હતા અને મૃત્યુઆંક ૩,૦૦૦થી વધુ થયો હતો.
૨૪મી એપ્રિલે ભારતમાં કોરોનાના ૨૩,૫૦૦ કેસ હતા અને ૭૨૩નો મૃત્યુઆંક હતો. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યાં કોરોનાના દર્દીની સંખ્યા ૫૦,૦૦૦ નજીક પહોંચવાની તૈયારી છે. અહીં એક અધિકારી સહિત ૧૮ પોલીસ જવાનોના કોવિડ-૧૯થી મોત થયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xt8nI2
No comments:
Post a Comment