
ભુજ,તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
રણોત્સવ અંતિમ દિનોમાં છે. ત્યારે સહેલાણીઓના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે. માત્ર દેશમાં નહિં પરંતુ વિદેશમાંથી પણ સફેદરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. ત્યારે જિલ્લાના છેવાડાના સરહદને અડીને આવેલા લખપતના વિકાસ માટે યોગ્ય કામગીરી ન કરાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
લખપતના વાયવ્ય ખુણે આવેલા ભીભી ધુલા બંદરની જે-તે વખતની જાહોજલાલી અને લાખોની ઉપજ મેળવતા લખપતના ઐતિહાસિક ગઢમાં પ્રવેશતા સહેજે પ્રશ્ન થાય કે ગઢ બનાવવાનું કારણ શું ? આ બાબતે સથાનિક જાગૃત રહીસોના કહ્યા મુજબ લાખોની ઉપજ મેળવતા આ બંદરે જારાના યુધ્ધ સમયે લુટફાટના કારણે સુરક્ષા હેતુથી આ ગઢ બનાવાયો છે .
સરહદી આ ગામમાં જોવાલાયક સ્થળોનો ઘણો ઈતિહાસ ધરબાયેલો છે. પરંતુ માહિતી કેન્દ્રો ન હોતા સહેલાણીઓને પુરતું માર્ગદર્શન નથી મળતું. પરંતુ હાલે પ્રવાસન વિભાગ દ્વારા માહિતી કેન્દ્ર લખપતમાં બનાવવાની હિલચાલ શરૂ કરાઈ છે. માહિતી કેન્દ્ર સાથે પ્રવાસીઓને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે ગાઈડની સુવિધા આવશ્યક છે.
હાલમાં રણોત્સવ ચાલુ છે ત્યારે દૈનિક ચારસોથી પાંચસો પ્રવાસી લખપતની મુલાકાતે આવતા હોય છે. અહીં નિગમ દ્વારા કોઈ સુવિધા નથી. ગામના ઓસમાણભાઈ નોતીયારના કહ્યા મુજબ તેઓને ફોન આવે તો પ્રવાસીઓ સાથે રહે છે. તેમના કહ્યા મુજબ રૂા.૧૦૦ થી ૧૫૦૦ જેવું વાહન એ મુજબ રૂપિયા મળે છે.
જોકે પ્રવાસીઓ માટે ગુરૂદ્વારા ખાતે ચાલતા લંગરની સેવા સરસ છે. અહીં દરેક દર્શનાર્થીને સાદુ ભોજન મળી રહે છે. ગુરૂદ્વારાના સુત્રોના કહેવા પ્રમાણે રણોત્સવના શરૂઆતમાં ચારસોથી પાંચસો પ્રવાસીઓ અહીં આવે છે અને લંગરનો લાભ લે છે. રણોત્સવ ઉપરાંત વેકેશન અને રજાના દિવસોમાં બારેમાસ પ્રવાસીઓ આવતા રહે છે.
રાજાશાહી વખતમા બનાવાયેલી દરબારી સ્કુલ અને ૧૮૫ વર્ષથી વધુ જુનું પોલીસ થાણું પણ છે. જ્યાં કમાલ મિયા જેવા ફોજદાર ફરજ બજાવી ચુક્યા છે. સર્વપ્રથમ તાલુકા પંચાયત કચેરીના પ્રારંભ પણ લખપતથી કરવામાં આવ્યો હતો. ૧૯૬૫માં તાલુકા પંચાયતના પ્રમુખપદે શામજી ખટાઉ રહ્યા હતા. સ્થાથિકોની જાગૃતિના અભાવે અને અનેક બહાના તળે તાલુકા પંચાયતનું દયાપર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું. વિશ્વના પ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઈંદરજીનું જન્મસ્થાન પણ લખપત છે. લાખોની ઉપજ ધરાવતા આ વિસ્તારમાં રોજીરોટીનો યક્ષ પ્રશ્ન ઉદભવતા મોટાભાગની વસ્તી ધંધાર્થે અન્યત્ર સ્થળાંતર થઈ છે.
પ્રવાસન વિભાગ દ્વારા લખપત પ્રત્યે ધ્યાન દેવામાં આવે તો લખપતના સોનેરી દિવસો પાછા આવી શકે એમ છે. સ્થાનિકો માટે રોજીરોટીનો પ્રશ્ન પણ હલ થઈ શકે. લખપત સાથે તેની નજીક આવેલા ગુનેરી, કોટેશ્વર, બૌધ્ધ ગુફા, નારાયણ સરોવર, કટેશ્વર પણ વધુ વિકાસ ઝંખે છે. જોકે માતાનામઢ વિકસાવવાનું ચર્ચામાં છે. જ્યારે યોગ્ય વિકાસ થાય ત્યારે સાચું વાધમ ચાવડાની રાજધાની અને ઐતિહાસિક બૌધ્ધ ગુફાથી પ્રસિધ્ધ થયેલા કટેશ્વર તીર્થની અતિ ઉપેક્ષા થઈ રહી હોવાનું સ્થાનિકો કહે છે. કટેશ્વર નજીક આવેલી બૌધ્ધ ગુફાઓ પુરતત્વ ખાતા દ્વારા રક્ષીત જાહેર કરાઈ છે.
પણ અડધા કિમી જેટલો રસ્તો પગપાળ જ જવું પડે છે. લખપતના ઐતિહાસિક સ્થળો જોવા આવતા સહેલાણીઓ માટે ટુરીઝમ વિભાગ દ્વારા બોર્ડ તો લગાવાયા છે દિશા સુચક બોર્ડ ના અભાવે ઘણી વખત પ્રવાસીઓ મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે. આમ ભુતકાળમાં સતત ધમધમતા આ ઐતિહાસિક ધરોહરને કુદરતી આફતો અને સરકારની ઉદાસીનતાના કારણે અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SvFx7I
No comments:
Post a Comment