
આણંદ,તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ શહેરની મધ્યમાં આવેલ બે તળાવોનું પાણી ખાલી કરવા બાબતે હાઈકોર્ટમાં થયેલ પીઆઈએલને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. આ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ દાખવી આણંદ શહેર વિસ્તારમાં આવેલ તમામ તળાવો અંગેનો સર્વે કરી હાઈકોર્ટમાં રીપોર્ટ રજૂ કરવાનો હુકમ થતા સ્થાનિક કક્ષાએ ભારે ખળભળાટી મચી જવા પામી છે. ઉપરાંત ભવિષ્યમાં આણંદ શહેર વિસ્તારમાં આવેલ તળાવોના વિકાસ સિવાયની કોઈપણ કાર્યવાહીની મંજુરી આપવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના ગોયા તળાવ તેમજ નજીકમાં આવેલ અન્ય તળાવમાં ધાર્મિક કાર્યક્રમો યોજવા માટે તળાવના પાણી ખાલી કરી દેવામાં આવતા આણંદ શહેરના જાગૃત નાગરિક નગીનભાઈ અંબાલાલ પટેલ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આણંદ નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર પાસે વિવિધ મુદ્દા અંગે અહેવાલ મંગાવવામાં આવ્યા હતા.
બાદમાં આણંદ નગરપાલિકાને આ અંગે હાઈકોર્ટમાં રીપોર્ટ કરવા પણ જણાવાયું હતું. દરમ્યાન આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કડકાઈનું વલણ દાખવી સિવિલ એપ્લીકેશનનો નિકાલ કરવામાં આવ્યો છે અને આણંદ નગરપાલિકા તથા કલેક્ટરને ભવિષ્યમાં આણંદ શહેરમાં આવેલ તળાવોમાં તળાવના વિકાસ સિવાયની કોઈપણ કાર્યવાહીની મંજુરી આપવા માટે મનાઈ ફરમાવવામાં આવતો હુકમ કરાયો છે. સાથે સાથે આણંદ વિસ્તારમાં આવેલ તમામ તળાવો બાબતે શૈલેષ શાહ વિરૃધ્ધ રાજ્ય સરકારના કેસની ગાઈડલાઈન મુજબ ડેપ્યુટી કલેક્ટરથી ઓછો હોદ્દો ન ધરાવતા હોય તેવા અધિકારી પાસે શહેરના તમામ તળાવોનો સર્વે કરાવી આગામી ત્રણ સપ્તાહમાં હાઈકોર્ટમાં રીપોર્ટ રજૂ કરવાના આદેશ કરાયા છે. આ કેસની આગામી મુદ્દત તા.૧૬ માર્ચ, ૨૦૨૦ નક્કી કરાઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HjoBvQ
No comments:
Post a Comment