
ગાંધીનગર, તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આંદોલનકારી તરીકેની ઓળખ ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવીને રાજકારણમાં તો ઝંપલાવી દિધું હતું તે વખતે એટલે કે, વર્ષ ૨૦૧૪માં જ્યારે એક બાજુ ભાજપે પોતાના વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરી દીધી હતી તો બીજીબાજુ નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડેલની દરેક ભાષણમાં વાતો કરતા હતા તેથી વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવા તે વખતે આપ પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગાંધીનગર આવવા નિકળ્યા હતા પરંતુ સ્થાનિક પોલીસે તેમને સરગાસણ ચાર રસ્તાએ જ અટકાવી દીધા હતા. તો વર્ષ ૨૦૧૨માં લવાડના આંદોલનમાં પણ કેજરીવાલે ઝંપલાવ્યું હતું.
લોકપાલ માટે દિલ્હીના રામલીલામાં અન્ના હજારે દ્વારા કરવામાં આવેલા આંદોલનમાંથી પોતાની આમ આદમી પાર્ટી બનાવી રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બે વખત મુખ્યમંત્રી બની ચુક્યા છે અને હવે ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં સરકારી સ્કૂલોથી લઇને મફત વીજળી અને પાણી સહિતની વિવિધ પ્રજાલક્ષી યોજનાથી કેજરીવાલ સમગ્ર દેશમાં જાણીતા થયા છે તો જ્યારે અરવિંદ કેજરીવાલ ફક્ત એક આંદોલનકારી હતા ત્યારે પણ તેમણે પ્રજા હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે એટલુ જ નહીં, જનઆંદોલનમાં જોડાઇને આંદોલનને પણ વેગ આપ્યા છે. પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા તે પહેલા વર્ષ ૨૦૧૨માં જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડમાં જમીન મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ અરવિંદ કેજરીવાલે તેમાં રસ લીધો હતો અને ગામની ગૈચરની જમીન ઉપર થઇ રહેલી રક્ષાશક્તિ યુનિવર્સીટીનો વિરોધ કરીને સ્થાનિકો પડખે ઉભા રહ્યા હતા.
જેમાં તે વખતના આગેવાનો પણ આ આંદોલનમાં જોડાયા હતા અને તેમની સાથે રહીને લવાડથી ગાંધીનગરની કુચમાં પણ અરવિંદ કેજરીવાલ જોડાયા હતા એટલુ જ નહીં, ગામમાં રોષે ભરાયેલા ગ્રામજનોની વિશાળ સભા મળી હતી તે પણ અરવિંદ કેજરીવાલે સંબોધી હતી અને તે વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગાંધીનગર હતા તેથી તેમના વિરૂધ્ધ પણ અરવિંદ કેજરીવાલે વાકબાણ ચલાવ્યા હતા.
તો વર્ષ ૨૦૧૪માં માર્ચ માસમાં પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના ૧૬ જેટલા મુદ્દાઓની ચર્ચા કરવા માટે અરવિંદ કેજરીવાલ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગતા હતા પરંતુ સ્થાનિક પોલીસે તેમને સરગાસણ ચાર રસ્તા ઉપર જ અટકાવી દિધા હતા ત્યારે આજે જ્યારે ફરી કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે ત્યારે વડાપ્રધાન બની ગયેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા બદલ કેજરીવાલને અભિનંદર પાઠવ્યા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SmJY5T
No comments:
Post a Comment