
આણંદ,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આણંદ જિલ્લાના આસોદર ગામે આવેલ ગામતળની જમીનના ૨૫ વર્ષ જૂના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસો દરમ્યાન પણ આસોદરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ જારી રહેશે તેમ સૂત્રો દ્વારા જણાવાયું છે.
વધુમાં મળતી વિગતો મુજબ આંકલાવ તાલુકાના આસોદર ગામની ગ્રામ પંચાયતની હદમાં આવેલ પડતર જમીન ઉપર છેલ્લા ૨૫ વર્ષથી કેટલાક માથાભારે શખ્શો દ્વારા ગેરકાયદેસર માટી પુરાણ કરી જમીન ઉપર કબ્જો જમાવી દીધો હોવાની ફરિયાદો પંચાયતને મળી હતી. આ મામલે અવાર-નવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરાઈ હતી અને ગ્રામજનો દ્વારા આ મામલે કાચા-પાકા દબાણો દુર કરવા માંગ કરાઈ હતી.
આ અંગે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ગામના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલ દબાણો મામલે દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણો દુર કરવા જણાવાયું હતું અને જો દબાણો દુર કરવામાં નહી આવે તો પંચાયત દ્વારા આવા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો કે દબાણકર્તાઓએ પંચાયત દ્વારા આપવામાં આવેલ અલ્ટીમેટમની અવગણના કરતા ગતરોજ આસોદર ગ્રામ પંચાયત દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરી દબાણકર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની ટીમે ગામના ભાથીજી મંદિર વિસ્તાર, શહીદપુર ફળીયા સહિત ગામના વિવિધ વિસ્તારોમાં આવેલ દબાણ ઉપર ત્રાટકી ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું. જેને લઈ દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી.
વધુમાં પંચાયત સૂત્રોના જણાવ્યા મુજબ ગામમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણો અંગે જે-તે દબાણકર્તાઓને નોટિસો પાઠવવામાં આવી છે.
જે મુજબ જો દબાણકર્તાઓ સ્વેચ્છાએ દબાણ દુર નહી કરે તો આ દબાણ હટાવો ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રહેશે અને પંચાયત દ્વારા આ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે તેવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bvH7in
No comments:
Post a Comment