
આણંદ, તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર
આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓની સમસ્યા માથાના દુઃખાવા સમાન બન્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને આ મામલે ટકોર કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આણંદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૧ રખડતી ગાયોને પાંજરે પુરવામાં આવી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના લોટીયા ભાગોળ, આણંદ-વિદ્યાનગર રોડ, ભાલેજ રોડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, ગણેશ ચોકડી વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો હતો. આ મામલે પાલિકા તંત્ર સમક્ષ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરના એક જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં ઘા નાખવામાં આવી હતી.
જેને પગલે હાઈકોર્ટમાંથી જિલ્લા કલેક્ટરને આ મામલે કાર્યવાહી કરવા આદેશો થતા તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા આપાતકાલીન બેઠક બોલાવી પોલીસ તથા નગરપાલિકાને એક માસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરાયા હતા.
જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી સફાળી જાગેલ પાલિકાની ઢોર પકડો ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગત શનિવારના રોજ ૧૧, રવિવારના રોજ ૫ અને આજે સોમવારના રોજ ૫ ગાયો મળી કુલ ૨૧ ગાયોને પાંજરે પુરવામાં આવી છે.
જે પૈકી ૧૦ ગાયોને આણંદ નગરપાલિકા ખાતે જ્યારે ૧૧ ગાયોને અજરપુરા સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી છે. શહેરના સ્ટેશન વિસ્તાર, અમૂલ ડેરી રોડ, પોલીસ લાઈન, સેવાસદન, ગણેશ ચોકડી વિસ્તાર અને પરીખભુવન સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતા કેટલાક પશુપાલકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w8Aoeb
No comments:
Post a Comment