
હિંમતનગર તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર
હિંમતનગર પાસે આવેલા ગાંભોઈમાં છેલ્લા એક વર્ષથી સોનાના દાગીના પર લોન આપી ધીરધાર કરનાર ફાયનાન્સરે અંદાજે પાંચથી વધુ લોકોના રૂા.૧૦ લાખથી વધુની રકમ પરત ન લઈ દાગીના ઓળવી જઈ ફાયનાન્સ પેઢીને ખંભાતી તાળુ મારી ભાગી જતા હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામના એક રહીશે સોમવારે ફાયનાન્સ પેઢીના દસ સંચાલકો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. જો કે આ બે પેઢીના ઉઠામણાથી બચતકારોના કરોડો રૂપિયા ફસાઇ ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
પેઢમાલા ગામના ચિરાગકુમાર ધુળાભાઈ પટેલે નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી ગાંભોઈમાં ગ્લોબલ ગોથાજી પ્રાઈવેટ લીમીટેડ ગોલ્ડ લોન તથા ગોથાજી ગ્લોબલ નિધી નામની ફાયનાન્સ કંપની ખોલીને ગ્રાહકોને બચતપેટે લોભામણી લાલચો આપી તથા સોનાના દાગીના ઉપર લોન આપવાના બહાને છેલ્લા એક વર્ષથી ગાંભોઈ અને આસપાસના વિસ્તારના લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. જેમાં ચિરાગભાઈ પટેલે પણ રૂા. ૧.૨૦ લાખથી વધુના સોનાના અંદાજે પાંચ તોલા દાગીના પર લોન લીધી હતી.
તેજ પ્રમાણે પેઢમાલાના પ્રભુભાઈ રેવાભાઈ પટેલે પણ અંદાજે ૧૮.૫ તોલા સોનાના દાગીના ૫ર અંદાજે રૂા.૪.૬૪ લાખથી વધુની લોન લીધી હતી. અક્ષયકુમાર જયેશભાઈ પટેલે પણ પાંચ તોલાથી વધુના દાગીના પર ફાયનાન્સમાંથી રૂા.૧.૩૭ લાખ લીધા હતા. ત્યારબાદ ચિરાગભાઈ તથા રમેશજી જામાજી ચૌહાણે લીધેલા રૂા.૧.૨૦ લાખથી વધુની રકમ ફાયનાન્સરને પરત આપી ગીરવે મુકેલા દાગીના પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
જે અંગે આ વિસ્તારમાં અન્ય લોકોને ખબર પડતા તેઓ પણ લોનની રકમ પરત આપવા ધસારો કર્યો હતો. દરમ્યાન ગોથાજી ફાયનાન્સના દસ સંચાલકોએ આ વિસ્તારના લોકોના અંદાજે ૩૩ તોલા સોનાના દાગીના ઓળવી જઈ ફાયનાન્સ પેઢીને ખંભાતી તાળુ મારીને રફુચક્કર થઈ ગયા હતા. જેથી ચિરાગભાઈ પટેલે ફાયનાન્સ પેઢીના દસ સંચાલકો વિરૂધ્ધ સોમવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.
ઉલ્લેખનીય છે કે હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં કેટલાક લોકો અન્યને લોભામણી લાલચો આપી તેમની પરસેવાની કમાણી પડાવી લઈ થોડા સમય બાદ પોબારા ભણી ગયાની ફરીયાદો ભુતકાળમાં સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં નોધાવા છતાં લોકોમાં જાગૃતિ આવતી નથી. જોકે પોલીસતંત્રએ પણ આવા લેભાગુ ફાયનાન્સરો વિરૂધ્ધ તપાસ કરીને લોકોની પરસેવાની કમાણી પરત અપાવીને કાર્યવાહી કરવાની જરૂર છે.
લોકચર્ચા મુજબ ગોથાજી ફાયનાન્સના સંચાલકોએ એક વર્ષના ગાળામાં આ વિસ્તારના અનેક લોકોને લોભામણી લાલચો આપીને કરોઠો રૂપિયાના દાગીના ઘરભેગા કરીને પોબારા ભણી ગયા છે ત્યારે ગાંભોઈ પોલીસે આવા લેભાગુ ફાયનાન્સરોને પકડી દાગીના પરત અપાવી મહીલાઓના આભુષણોની લાજ સાચવવી જોઈએ.
કોની વિરૂધ્ધ ફરિયાદ નોધાઈ
* મદનસિંહ મુલતાનસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* શૈલેષભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (બાંખોર)
* નરપતસિંહ હરિસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* કરણસિંહ પ્રભુસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* કમલસિંહ સરદારસિંહ રાજપુરાહિત (રાજસ્થાન)
* કસ્તુરસિંહ તિલોકસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* દિનેશસિંહ મુલતાનસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* રતનસિંહ મુલતાનસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* ઓમસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રાજસ્થાન)
* જસુભાઈ તિકમભાઈ નાયક (અડપોદરા)
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yHsbvp
No comments:
Post a Comment