
નવી દિલ્હી, તા.12 જુલાઈ 2019, શુક્રવાર
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર ફેંકાઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાના હાઈપ્રોફાઈલ સ્ટાર્સના નિર્ણાયક મેચમાં જ ફ્લોપ શૉને કારણે ચાહકોમાં ભારે નારાજગી અને રોષ છે, આમ છતાં ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) કેપ્ટન કોહલી કે કોચ શાસ્ત્રી કે અન્ય કોઈની સામે આકરા પગલાં લે તેવી શક્યતા દેખાતી નથી. સીઓએના વડા વિનોદ રાય હાલ સિંગાપોરમાં છે અને તેમણે જણાવ્યું હતુ કે, જ્યારે કોચ અને કેપ્ટન સ્વદેશ પાછા ફરશે, ત્યારે અમે તેમની સાથે વર્લ્ડ કપના દેખાવની સમીક્ષા બેઠકનું આયોજન કરીશું.
હાલમાં બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)માં ચેરમેન વિનોદ રાયની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર ડાયના એડલજી અને રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ રવિ થોડ્ગે છે. સીઓએ તરીકે ઓળખાતી આ સમિતિ પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદની સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. ખાસ કરીને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી-૨૦ વર્લ્ડ કપ રમવાનો છે, ત્યારે તે અંગે ભારતીય ટીમના રોડમેપ અંગેના પાસા પણ ચકાસવામાં આવશે.
વિનોદ રાયે કહ્યું કે, અમે હજુ મિટિંગની તારીખ નક્કી કરી નથી, પણ એક વખત કોચ અને કેપ્ટન સ્વદેશ પરત ફરે પછી અમે તેમની સાથે આ અંગે વાતચીત કરીશું.
શાસ્ત્રી સહિતના સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ ૪૫ દિવસ લંબાવાયો
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી તેમજ સપોર્ટ સ્ટાફના કાર્યકાળને ૪૫ દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. આ સાથે બીસીસીઆઇએ ઈશારો કર્યો છે કે, કોચ કે સપોર્ટ સ્ટાફની સામે કોઈ આકરા પગલા લેવામાં નહી આવે. ટીમના બેટીંગ કોચ તરીકે સંજય બાંગર છે, જ્યારે ટીમના બોલિંગ કોચની જવાબદારી ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચની જવાબદારી એન. શ્રીધર સંભાળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં બેટ્સમેનોના કંગાળ દેખાવને કારણે બેટીંગ કોચ બાંગર સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે. આમ છતાં શાસ્ત્રી સહિતના અન્ય સભ્યોને તેને ભરપૂર સપોર્ટ હોવાથી તેને દૂર કરવામાં આવે તેવી શક્યતા નહીવત્ છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SetmeY
No comments:
Post a Comment