પાલનપુર,તા.12 જુલાઈ 2019, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળાએ ખેડૂતોના ખેતરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઈંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે. જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતુ અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં ટીમો તૈનાત કરીને સર્વે હાથ ધરી તીડ નિયંત્રણ કરાયું છે.
તા.૧૧ જુલાઈ ૨૦૧૯ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઈગામ તાલુકાના મેઘપુરા, સુઈગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ ૪૦૦ હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવા મેલાથીઓન ૯૬ ટકા યુએલવીનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનુ નિયંત્રણ કરી શકાયું છે. જોકે તીડના ઈંડાઓ હવે પાક ઉપર આક્રમણ કરવાની શક્યતાને લઈને તંત્ર માટે તીડ નિયંત્રણ પેચીદો પ્રશ્ન બનવા પામ્યો છે. આ તીડ એ રણ તીડથી પ્રખ્યાત થયેલા છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને લોકોના સહકારથી તીડ જ્યાં ઈંડા મુક્યા છે તેવી જગ્યાઓ શોધીને વાહન સંચાલિત સ્પ્રેયર દ્વારા દવાનો છંટકાવ કરતા હોવાનું કેન્દ્ર સરકારના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર એમ.વાય. પઠાણે જણાવ્યું હતું.
રણતીડ શું છે
રણતીડ એક આંતરરાષ્ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ ત્રણ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ ૬૦ દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે.
રણતીડનો ઉછેર ક્યાંથી થાય છે
રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઈરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને ૮૦,૦૦૦ ચોરસ માઈલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે વર્ષ ૧૯૯૩-૯૪માં થયો હતો.
કેન્દ્રએ પાંચ જિલ્લામાં ટીમ તૈનાત કરી
કેન્દ્રની સુચનાના પગલે ૧૩મે ૨૦૧૯ના રોજ ખેતી નિયામક કક્ષાએથી રણતીડ માટે રણ વિસ્તાર ધરાવતા કચ્છ, જામનગર, દ્વારકા, પાટણ અને બનાસકાંઠાના ખેતી વાડી અધિકારીઓને તીડ નિયંત્રણ કરવા સૂચના આપવામાં આવી હતી અને પાલનપુર ખાતે ૨૪ કલાકનો કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ભુજ અને પાલનપુરની કચેરીઓ સાથે સતત સંપર્કમાં છે.
જંતુનાશક દવા એકમાત્ર ઉકેલ
બનાસકાંઠાના રણતીડની હાજરીને લઈને વાવ તાલુકાના લોદ્રાણી,બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઈગામ તાલુકાના મેઘપુરા, સૂઈગામ, પાડણ અને ભરડવા સરહદી વિસ્તારમાં કેન્દ્રની ટીમો દ્વારા સ્પ્રેથી જંતુનાશક દવા મેલાથીઓન ૯૬ ટકા યુએલવીનો છંટકાવ કરવામાં આવ્યો. જેનાથી તીડનુ નિયંત્રણ કરી શકાયું છે.
જિલ્લામાં નવ જેટલા સ્થાન પર તીડ દેખાયા
પાકિસ્તાન અને સાઉદી અરેબીયાથી રણ તીડ આવ્યાની માહિતી આપતા અધિકારી પઠાણે જણાવ્યું હતું કે જિલ્લાના નવ જેટલા સ્થળો પર પીળા કલરના તીડનું નિયંત્રણ કરવામાં સફળતા મળી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LmuVqq
No comments:
Post a Comment