
બર્મિંગહામ, તા. 1 જુલાઈ 2019, સોમવાર
ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો જારી રહ્યો છે. શિખર ધવન બાદ હવે ઓલરાઉન્ડર વિજય શંકર પણ ઈજાને કારણે વર્લ્ડકપની બાકીની મેચમાં રમી શકશે નહીં. ઘાયલ વિજય શંકરને સ્થાને ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાયો છે. ૨૮ વર્ષીય મયંક અગ્રવાલ અગાઉ કદી પણ ભારત માટે વન-ડેમાં રમ્યો નથી.
૧૯ જૂને અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ પ્રેક્ટિસ સત્ર દરમિયાન જસપ્રિત બુમરાહનો યોર્કર વિજય શંકરના ડાબા પગમાં વાગ્યો હતો. આ ઈજા છતાં વિજય શંકર અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. જોકે, ઈજા વકરતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં રમી શક્યો નહોતો.
સોમવારે સવારે બીસીસીઆઇએ એક યાદીમાં જણાવ્યું હતું કે, '૧૯ જૂને સાઉધમ્પટન ખાતે નેટ્સમાં વિજય શંકરને ડાબા પગે ઈજા થઇ હતી. ૨૭ જૂન બાદ તેની ઈજા વકરતા સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. જેમાં તેને ડાબા પગે નોન-ડિસ્પ્લેસ્ડ ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિજય શંકરને ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. '
જોકે, હવે વિજય શંકરને સ્થાને મયંક અગ્રવાલને પસંદ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. મયંક અગ્રવાલ અગાઉ ક્યારેય ભારત માટે વન-ડેમાં રમ્યો નથી અને તેને વર્લ્ડકપના સ્ટેન્ડબાયમાં પણ સામેલ કરાયો નહોતો. મયંકે આઇપીએલની ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે ૧૩ ઇનિંગ્સમાં ૩૩૨ રન નોંધાવ્યા હતા.
મયંક અગ્રવાલ
જન્મ:૧૬ ફેબુ્આરી ૧૯૯૧, બેંગાલુરુ
લિસ્ટ એ:મેચ:૭૫, રન:૩૬૦૫, એવરેજ:૪૮.૭૧, શ્રેષ્ઠ:૧૭૬, ૧૦૦/૫૦:૧૨/૧૪.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J1RrSV
No comments:
Post a Comment