
લંડન, તા. 1 જુલાઈ 2019, સોમવાર
ઇંગ્લેન્ડ સામે ભારતના પરાજય સાથે જ પાકિસ્તાન આઇસીસી વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશી શકશે કે કેમ તે અદ્ધરતાલ થઇ ગયું છે. પાકિસ્તાનના ચાહકો એ પ્રકારનો બળાપો ઠાલવી રહ્યા છે કે તેમની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકે નહીં માટે ભારત જાણી જોઇને ઇંગ્લેન્ડ સામે હાર્યું છે.
એકંદરે સોશિયયલ મીડિયામાં થોડા સમય અગાઉ શરૂ થયેલી '૧૦ યર ચેલેન્જ'નું પુનરાવર્તન થયું છે. ૨૦૦૯માં દક્ષિણ આફ્રિકા ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ રાઉન્ડમાં પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થતાં ભારત લીગ રાઉન્ડમાંથી બહાર ફેંકાઇ ગયું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૦૯માં ભારત ગૂ્રપ 'એ'માં હતું જેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અન્ય ટીમ હતી. જેમાં ભારતનો પાકિસ્તાન સામે ૫૪ રને પરાજય થયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ ધોવાઇ જતાં ૧ પોઇન્ટ મળ્યો હતો. બીજી તરફ પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝ, ભારત સામેના વિજય સાથે ૪ પોઇન્ટ મેળવી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.
આમ, ગૂ્રપ સ્ટેજની અંતિમ મેચમાં ભારત વિન્ડીઝને અને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે તો ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાય અને ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ થાય. ભારતે વિન્ડીઝ સામેની મેચમાં ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. જેમાં વિન્ડીઝ ૧૨૯માં ખખડયું હતું અને ભારતે વિરાટ કોહલીના અણનમ ૭૯ રનથી આ લક્ષ્યાંક ૩૨.૧ ઓવરમાં વટાવ્યો હતો.
આમ, ભારત સેમિફાઇનલમાં પ્રવેશશે કે કેમ તેનો આધાર ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન મેચ પર હતો. જેમાં પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૭૪માં પાંચ અને ૪૬ ઓવરમાં ૧૮૭ના સ્કોરે ૮ વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા અંતિમ ૧૨ બોલમાં ૧૦, અંતિમ ૬ બોલમાં ચાર રન કરવાના હતા. અંતિમ ઓવરોમાં પાકિસ્તાને કરેલી 'મિસ ફિલ્ડિંગ'નો ફાયદો ઉઠાવીને ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે વિજય મેળવ્યો હતો. આમ, ઓસ્ટ્રેલિયાના વિજય સાથે જ ભારતનું સેમિફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાયું હતું.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KP0hFT
No comments:
Post a Comment