
નડિયાદ.તા.27 જૂન 2019, ગુરુવાર
ખેડા જિલ્લામાં કપડવંજ,નડિયાદ,મહુધા, ડાકોર, કઠલાલ, મહેમદાવાદ અને ત્રાજ એમ કુલ સાત સ્થળોએ આગામી તા.૪-૭-૧૯ના રોજ રથયાત્રા નીકળશે. રથયાત્રાના તહેવારની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ અન્વયે સમગ્ર ખેડા જિલ્લામાં તા.૩-૭-૧૯ના રોજ સવારના ૬ઃ૦૦ કલાકથી તા.૫-૭-૧૯ સુધી હથિયારબંધી ફરમાવી છે.
આગામી ૪ જુલાઈએ અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડા જિલ્લામાં મોટા શહેરોથી માંડીને ગ્રામ્ય વિસ્તારમાં ઠેકઠેકાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જેમાં સૌથી મોટી ડાકોર, નડિયાદ અને કપડવંજમાં નીકળનારી રથયાત્રાને લઈને જુદા જુદા સંગઠનો દ્વારા ભગવાનના રથ તથા અન્ય સામગ્રીઓની સાફસફાઈ સહિતની કામગીરીમાં સેવકો અને ભક્તો જોડાઈ ગયા છે.
નોંધનીય છે કે પ્રતિ વર્ષ યોજાતી આ રથયાત્રાઓમાં ટ્રકો સહિતના વાહનો શણગારીને લોકો રથયાત્રામાં ભાગ લઈને ધન્યતા અનુભવે છે. રથયાત્રાને લઇને આ સમયગાળા દરમ્યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા,કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા,અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા અથલા અશ્લિલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ અથવા નિતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પણ ક્ષયકારી પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા, બતાવવા કે તેનો ફેલાવો કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઇપણ વ્યક્તિ કે જેને તેના ઉપરી અધિકારીઓએ આવુ કોઇપણ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા જેની ફરજ હોય,જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશ્કિતને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને લાગુ પડશે નહી.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે એમ જણાવાયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FzVBiU
No comments:
Post a Comment