
આણંદ,તા.27 જૂન 2019, ગુરુવાર
ગત દિવાળી પર્વ પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધર્યા બાદ ધીમે-ધીમે પુનઃ યથાવત સ્થિતિ થવા પામી છે ત્યારે શહેરના બાકરોલ ટી પોઈન્ટથી વડતાલ, જોળ, બાકરોલ સુધીના માર્ગ ઉપર ખડકાયેલ ગેરકાયદેસર કાચા-પાકા દબાણો ઉપર તંત્ર દ્વારા તા.૧લી જુલાઈથી બુલડોઝર ફેરવવામાં આવશે. આ વિસ્તારના દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટીસો પાઠવી તા.૩૦ જૂન સુધી કાચા-પાકા દબાણો દુર કરવા તાકીદ કરાઈ છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના બાકરોલ ટી પોઈન્ટથી એલિકોન ગાર્ડન તથા વડતાલ, જોળ અને બાકરોલ સુધીના માર્ગો ઉપર છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક રહીશો તેમજ કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી કાચા-પાકા દબાણ ખડકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.
રાજમાર્ગની આસપાસમાં કાચા-પાકા દબાણો ખડકાતા દિવસેને દિવસે આ માર્ગ સાંકળો બનતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ મામલે તંત્ર દ્વારા દબાણકર્તાઓને અવારનવાર નોટીસ પાઠવી દબાણો દુર કરવા જણાવાયું હતું.
પરંતુ દબાણકર્તાઓએ દબાણો દુર નહી કરતા તંત્ર દ્વારા હાલમાં જ આ વિસ્તારના રહીશોને અંતિમ નોટીસ પાઠવી આગામી તા.૩૦ જૂન સુધીમાં રસ્તાની મધ્યરેખાથી ૧૨ મીટર અંતરમાં આવતા તમામ કાચા-પાકા દબાણો સ્વૈચ્છિક રીતે દુર કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે. જો દબાણકર્તાઓ દ્વારા તા.૩૦ જૂન સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવામાં નહી આવે તો આગામી તા.૧લી જુલાઈથી તંત્રની ટીમ દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી તમામ કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NxLXnB
No comments:
Post a Comment