- કાલાવડનાં જશાપર, નવાગામ, ખરેડી તો લાલપુરનાં મોટા ખડબા સહિતનાં ગામો જળબંબોળઃ ગોંડલનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ 2-4 ઇંચ મેઘમહેર

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા.27 જૂન 2019, ગુરૂવાર
સૌરાષ્ટ્રમાં શ્રીકાર મેઘમહેરની આશા પર આજે પણ પાણી ઢોળ થયું હતું. જો કે ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં અનેક ગ્રામ્ય વિસ્તારો પર મેઘરાજાએ ભરપુર હેત વરસાવ્યું હતું. જામનગર જિલ્લાનાં કાલાવડ અને લાલપુર તાલુકા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીનાં વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. ગોંડલનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગત રાત્રે ૨ - ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો.
રાજકોટ શહેરમાં આજે પણ બપોરે ત્રણ વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ગાજવીજ શરૂ થઇ હતી, પણ ફકત ઝાપટા વરસાવીને મેઘરાજા વધુ એક વખત હાથતાળી આપી ગયા હતા. ગોંડલ તાલુકાનાં દેરડી કુંભાજી, વિંજીવડ, શિવરાજગઢ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં ગત મધરાત્રે ૨ - ૪ ઇંચ જેવી મેઘમહેર વરસી હતી. પડધરીમાં આજે અડધો ઇંચ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મોરબી, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટા પડયા હતા.
જામનગર જિલ્લામાં ખાસ કરીને કાલાવડ અને લાલપુર પંથકમાં મેઘો મહેરબાન થયો છે. કાલાવડ તાલુકાના નવાગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રિના ચાર ઇંચ જેટલું પાણી પડી ગયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉપરાંત કાલાવડના ખરેડી ગામમાં ૭૧ મીમી અને લાલપુરના મોટા ખડબા ગામમાં ૭૪ મીમી વરસાદ વરસી ગયો હતો.
લાલપુરનાં પીપર ટોડામાં ૨૩મીમી, પડાણામાં ૧૧મીમી, ભણગોરમાં ૧૧ મીમી, ડબાસંગમાં ૧૪ મીમી અને મોડપરમાં ૮ મીમી વરસાદ થયો છે. જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં ૨૨ મીમી અને વરઇ તેમજ જાંબુડામાં ૧૨ મીમી, ધ્રોલના લતીપુરમાં ૨૮ મીમી, જાવીયા દેવાણીમાં ૨૪ મીમી, યૈરામાં ૨૬ મીમી, નિકાવામાં ૨૭ મીમી અને ભલસાણ બેરાજામાં ૨૫મીમી વરસાદ નોંધાયો છે.
જામજોધપુરના સમાણામાં ૨૭મીમી, શેઠવડાળામાં ૩૯ મીમી, જામવાડીમાં ૩૫ મીમી, વાંસજાવીયામાં ૩૩ મીમી, ધુનડામાં ૨૬ મીમી, ધ્રાફામાં ૩૧મીમી અને પરડવામાં ૨૪ મીમી વરસાદ પડી ગયો હોવાના તાલુકા મંથકના કેન્દ્રમાંથી અહેવાલ પ્રાપ્ત થયા છે. બીજી તરફ આજે બપોરે કાલાવડમાં પોણો ઇંચ તેમજ બાજુનાં જશાપર, રાજસ્થળી, છાપરા ગામે પાંચ ઇંચ મુશળધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.
અમરેલી જિલ્લામાં આજે ત્રિજા દિવસે પણ સાવરકુંડલા પંથકમાં મેઘસવારી અવિરત ચાલુ રહેતા દોઢ ઇંચ જેટલા વરસાદથી સાવરકુંડલાની બજારોમાં પાણી છવાઇ ગયેલા હતા તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઇ હતી. અમરેલી શહેરનાં ચિતલ રોડ, બ્રાહ્મણ સોસાયટી, રામાણીની વાડી વિસ્તારમાં અડધો કલાકમાં અડધો ઇંચ જેટલા વરસાદથી રોડ ઉપર પાણી છવાઇ ગયેલા હતા.
સોમનાથ જિલ્લામાં આજે છૂટા-છવાયા ઝાપટા વચ્ચે બપોરે ૩ વાગ્યાથી ગીરગઢડા પંથકમાં વરસાદ ચાલુ થયો હતો. બે કલાકમાં ગીરગઢડામાં એક ઇંચ અને જુડવડલીમાં બે ઇંચ તથા સીમર, દૂધાળા, મોઠા ગામે એક ઇંચ મેઘમહેર થઇ હતી. જુડવડલી ગામે ટ્રાન્સફોર્મર ઉપર વિજળી પડતા વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320bVDo
No comments:
Post a Comment