
ભાવનગર, તા. 24 મે 2019, શુક્રવાર
ભાવનગર આર.ટી.ઓ.માં એલ.એલ.આર.ની પરીક્ષા ન આપી તેમજ ટ્રાયમાં પાસ કરી કેટલાક લાયસન્સ ઇસ્યુ કરી દેવાની ભ્રષ્ટ નીતિ સામે એપ્લીકેશન નંબરો સાથે જિલ્લા કલેક્ટરને કચેરીના કેટલાક જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ રજૂઆત કરાઇ છે.
મળતી વિગતો મુજબ ભાવનગર આર.ટી.ઓ.માં છાશવારે નતનવા નિયમોનું મનઘડત અર્થઘટન કરી અરજદારો પાસેથી કઇ રીતે પૈસા લેવા તેના રસ્તા લેભાગુ તત્વો શોધી કાઢતા હોય છે અને લાયસન્સમાં થતા ભ્રષ્ટાચાર અંગે છેક ગાંધીનગર સુધી પણ ફરિયાદો થવા પામી છે ત્યારે તાજેતરમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવાયું હતું કે એલ.એલ.આર.ની પરીક્ષા ન આવડી હોય તેવા લોકોને કોમ્પ્યુટર પરીક્ષા લીધા વગર પરીક્ષામાં પાસ કરી આપી તથા વાહનો ન આવડતા હોવા છતાં વગર ટ્રાયે પાસ કરવાનું મોટુ કારસ્તાન કચેરીમાં ચાલ્યું છે અને જવાબદારો દ્વારા બુધ્ધીપૂર્વક આવા કેસનું રેકર્ડ પણ ગુમ કરી દીધુ હોવાના આક્ષેપો થવા પામ્યા છે.
જો કે, આ ખોટા કામોમાં ચોક્કસ ફોલ્ડરો કે જે કચેરીના કર્મચારી નથી તેવા લોકોના હાથે સુચારૂ નેટવર્ક ગોઠવાયેલું હોય છે. રજૂઆતમાં ૩૮ અરજદારોની વિગતો પણ સામેલ કરાઇ છે અને આવા ભ્રષ્ટ અધિકારી ઇન્સપેક્ટરો સામે ખાતાકીય પગલા ભરવાની માગણી કરાઇ છે. જો કે, કચેરીમાં થતી ગેરરીતિ અંગે બધુ જગજાહેર હોવા છતાં ચોક્કસ તત્વોન હાથે ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ જનતાને લૂંટી રહ્યા છે અને તપાસ નિમાય તો તે ત્યાંની ત્યાં જ રહે છે આગળ ચાલતી નથી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HzCPcM
No comments:
Post a Comment