
- ટાટા સુમો, ટાવેરા, રિક્ષા, પાંચ છરા, ડીસમીસ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો, એક વાછરડાની બચાવી લેવાયું: ગૌભક્તો-જીવદયાપ્રેમીઓમાં રોષ
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા કતલાખાનામાંથી ૧૪૦૦ કિલો ગૌમાસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ભાંગતી રાતે કતલખાના પર છાપો મારી એક વાછરડાને જીવીત બચાવી લીધું હતું. જ્યારે ગેરકાયદે ગૌવંશની કતલ કરતા માતા-પુત્ર સામે ગુનો નોંધી પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ગૌવંશના કતલની ઘટનાથી ગૌભક્તો અને જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વડવા, કાછીયાવાડ વિસ્તારમાં આવેલ માઢિયા ફળી નજીક જૂના વાલ્મીકીવાસમાં ઝરીનાબેન મહમદભાઈ બાવનકા અને તેનો પુત્ર ઈનાયત બાવનકા ગૌવંશની ક્રૂરતાપૂર્વક કતલ કરી તેનું માસ વેંચી રહ્યા હોવાની મળેલી ચોક્કસ ખબરના આધારે નિલમબાગ પોલીસે આજે વહેલી સવારે ૪ કલાકના અરસામાં દરોડો પાડી તલાશી લેતા ઓટો રિક્ષા નં.જીજે.૨૩.ડબ્લ્યુ.૮૧૫૧ની અંદર પાછલી સીટમાં ૨૦૦ કિલો જેટલું ગૌવંશનું માસ મળી આવ્યું હતું.
જ્યારે એક ખુલ્લી ઓરડીમાં તલાશી લેતા તેમાં એક વાછરડી અને વાછરડું ગળાના ભાગથી અર્ધ કપાયેલ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે બન્ને મળી પોલીસે આશરે ૧૪૦૦ કિલો ગૌમાસ તેમજ ટાટા સુમો કાર નં.જીજે.૦૪.બીઈ.૭૧૦૬ અને ટાવેરા નં.જીજે.૦૪.એજે.૦૯૨૦, રિક્ષા, ઓરડામાંથી મળી આવેલા ગૌવંશ કાપવાના પાંચ છરા, બે દરોડા, ડીસમીસ (પેચિયું) સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ઓરડામાં કતલ કરવા માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા માટે બાંધવામાં આવેલ ગૌવંશ વાછરડાને પોલીસે બચાવી લીધું હતું.
ઘટના સંદર્ભે પીએસઆઈ એમ.પી. પંડયાએ ગૌવંશની ગેરકાયદે કતલ કરતા માતા-પુત્ર ઝરીનાબેન બાવનકા અને ઈનાયત બાવનકા સામે ધી ગુજરાત પુશ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ની કલમ પ, ૬ (બી) (૧), ૭, ૮, ૧ (ર), ગુજરાત પ્રોવીજીનિયલ મ્યુ. કોર્પો. એક્ટ ૧૯૪૯ની કલમ ૩૩૫, ૩૯૨ (૩), પશુ અતિક્રમણ ધારા કલમ ૧૧ (૧) ડી, ૪ (૩) મુજબ ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે ઈનાયત બાવનાકાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે તેની માતા ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YRl9zp
No comments:
Post a Comment