
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 મે 2019, શનિવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્જીકલ આઇ.સી.યુ.માં ઓવરહીટીંગને કારણે એરકંડીશનમાંથી ધુમાડો નીકળવા લાગતા અફડતફડી મચી ગઇ હતી. અહી આઠ દર્દી સારવાર લઇ રહયા હતા તેમને તાત્કાલિક અન્યત્ર શિફ્ટ કરાયા હતા.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બીજા માળે આવેલા સજીૅકલ આઇ.સી.યુ વોર્ડમાં આજ રોજ ૮ દર્દી સારવાર લઇ રહયા હતા. આજે બપોર ત્યાં આઇ.સી.યુ વોર્ડના એ.સીમાં ઓવર હિંટીગના લીધે ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાં દાખલ દર્દીઓ અને તેમના સબંધીઓ જીવ ટાળવે ચોટી ગયા હતા.
ગભરાઇને તમામે બુમાબુમ સાથે નાસભાગ કરી મુકી હતી. કર્મચારીઓ પણ ભાગવા લાગ્યા હતા. જેને પગલે માર્શલ, ડોકટરો ત્યાં દોડી આવ્યા હતા. ધુમાડા બાદ એ.સી.માં આગ લાગવાની તૈયારી હતી. તે વેળા ફાયર એસ્ટીંગ્યુશરનો (અગ્નિ શામક) ઉપયાગ કરાતા આગ લાગી નહોતી.
બીજી તરફ ત્યાં દાખલ ૮ દર્દીઓને નજીકમા આવેલા ડાયાલીસીસ વોર્ડમાં શિફ્ટ કરાયા બાદ દર્દીઓ અને સંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાની થઇ નથી. ઉલ્લેખનીય છે કે, ૨૮ દિવસ પહેલા અમદાવાદની સિવિલના આઇસોલેશન વોર્ડમાં એરકંડીશનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
ફાયર બ્રિગેડને તંત્રએ કોલ કર્યો જ નહી, ફાયરે સામેથી કોલ કર્યો તો કહયું, કાબૂમાં આવી ગયું છે
એ.સી માંથી ધુમાડો નીકળ્યો ત્યારે સ્મીમેર તંત્ર કે કોઇએ પણ ફાયરબ્રિગેડને કોલ કર્યો નહી. જોકે ફાયર કંન્ટ્રોલમાં કોઇકે ફોન કરી આ અંગે પુછયુ ત્યારે ફાયરજવાનોએ સામેથી ફોન સ્મીમેરમાં કર્યો હતો. ત્યારે તેમને કહેવાયું કે, મામલો કાબૂમાં આવી ગયો છે. ફાયરની જરુરી નથી. ઘટના છુપાવવા ફાયર બ્રિગેડને કોલ નહી કરાયાની ચર્ચા છે.
એ.સી, વાયરીંગનું નિયમિત ચેકીંગ થતું નથી ?
ગરમીમાં વાયર ગરમ થવાથી અને એ.સીમાં ઓવરલોડીંગ થવાથી શોર્ટ સર્કિટથી આગના બનાવો બને છે. ઘરોમાં પણ આવી સ્થિતિ સર્જાઇ શકે છે. સ્મીમેરમાં એરકંડીશનનું નિયમિત સર્વિસીંગ થતું ન હોવાની અને વાયરીંગનું ચેકીંગ ન થતું હોવાની ચર્ચા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYuYJu
No comments:
Post a Comment