
- ન્યાય માટે વલખા મારતા ૭૪ વર્ષના વૃધ્ધને વસંત ગજેરાના ખોળે બેઠેલી ઉમરા પોલીસ બે મહિનાથી ધક્કા ખવડાવી ફરિયાદ નોંધતી નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 મે 2019, શનિવાર
નવસારી લોકસભા બેઠકના ગત ટર્મના સાંસદ સી.આર.પાટીલે બાંધેલા મગદલ્લા સ્થિત ભાવિદર્શન સંકુલમાં કબજો જમાવવા લેન્ડ ડેવલપર અને જ્વેલરી મેન્યુફેકચરર વસંત ગજેરાના માણસોએ નિવૃત્ત સરકારી કર્મચારીનો ફ્લેટ તેમની જાણ બહાર જમીનદોસ્ત કરી દેતાં તેમના ભાડુઆતનો સામાન સગેવગે થઈ ગયો હતો.
આ અંગે ૭૪ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીએ ઉમરા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં વસંત ગજેરાના ખોળે બેઠેલી પોલીસ તેમને બે મહિનાથી ધક્કા ખવડાવી ફરિયાદ નોંધતી નથી.
મગદલ્લા સ્થિત ભાવિદર્શન સંકુલ ઉપર કબ્જો જમાવનાર હીરા અગ્રણી વસંત ગજેરાના માણસોએ ગત વર્ષે ત્યાં રહેતાં લોકો તેમજ દુકાનદારોના વિરોધ છતાં તેને જમીનદોસ્ત કરવાનું શરૂ કર્યું હતું. મોટો વિવિદ થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી તે વેળા ઉમરા પોલીસની શંકાસ્પદ ભૂમિકા અન્ય એક કિસ્સામાં પણ સામે આવી છે.
સુરતના પીપલોદ ખાતે રાધાકૃષ્ણ મંદિરની સામે બાલાજી નગર એ/૯ માં રહેતાં ૭૪ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી નરસિંહભાઇ ખીમાભાઈ પટેલે વર્ષ-૨૦૦૧ માં મગદલ્લા સ્થિત ભાવિદર્શન સંકુલમાં બિલ્ડીંગ નં.૧૪ ના પહેલા માળે ફ્લેટ નં.૪ બિલ્ડર સી.આર.પાટીલ પાસેથી ખરીદ્યો હતો. જે તેમણે ભાડેથી આપ્યો હતો.
દરમિયાન, ગત તા.૫ માર્ચના રોજવસંત ગજેરા ના માણસો એ ભાવિદર્શન સંકુલ માં ફરી કેટલાક એપાર્ટમેન્ટ તોડી નાખ્યા હતા. તે દરમિયાન નરસિંહભાઈ ની જાણ બહાર તેમનો ફ્લેટ પણ જમીનદોસ્ત કરતાં તેમના ભાડુઆતની દુકાનનો સામાન પણ સગેવગે થઈ ગયો હતો. જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા અને પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ આવી અને ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરવા સલાહ આપી હતી. ફ્લેટના દસ્તાવેજની ઝેરોક્ષ કોપી લઇ તેઓ ઉમરા પોલીસ મથકે પહોંચ્યા તો પી.આઇ. એ ઓરીજનલ દસ્તાવેજોની માંગ કરી તેમને ધક્કે ચડાવ્યા હતા.
૭૪ વર્ષીય નરસિંહભાઈએ ત્યારબાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, ત્યાંથી પણ તેમને યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો. આ પ્રકરણમાં રૂબરૂ મળી અરજીઓ આપી હતી. છતાં બે મહિના બાદ ઉમરા પી.આઇ આ પ્રકરણમાં ગુનો નોંધવા તૈયાર નથી.
વૃધ્ધને પોલીસ કહે છે, તમારા જેવા દસ્તાવેજ વસંત ગજેરા પાસે પણ છે
પોલીસ નરસિંહભાઇને એવું કહી રહી છે કે તમારી પાસે જે દસ્તાવેજો છે તેવા દસ્તાવેજો વસંતભાઈ ગજેરા પાસે પણ છે. અમે સી.આર.પાટીલનું નિવેદન નોંધીશું ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે તો ગુનો નોંધીશું.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZSZdoR
No comments:
Post a Comment