(પીટીઆઇ) હિન્ડોન શહેર(રાજસ્થાન), તા. ૩
વાવાઝોડા ફાનીને કારણે અસરગ્રસ્ત થયેલા રાજ્યો માટે અગાઉથી જ ૧૦૦૦ કરોડ રૃપિયા જારી કરી દેવામાં આવ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું.
રાજસ્થાનના હિન્ડોન શહેરમાં જાહેર સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે સંકટના આ સમયે સરકાર લોકોની સાથે છે.
મોદીએ જણાવ્યું હતું કે આજે સવારે ઓડિશામાં ત્રાટકેલા વાવાઝોડા પછી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં કુદરતી આફત અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજસ્થાનના કારોલી જિલ્લાના હિન્ડોન શહેરમાં એક સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફાની વાવાઝોડાને કારણે લાખો પરિવારને અસર થઇ છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(એનડીઆરએફ), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવી અને આર્મીના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત રાજ્યોના લોકોને ખાતરી આપું છું કે સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત પરિવારો અને રાજ્ય સરકારોની સાથે છે.
મોદીએ જૈશે મોહંમદના વડા મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના સમય પર પ્રશ્રો ઉઠાવનાર કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષ ભારતની સુરક્ષા સ્થિતિથી નાખુશ છે.
મોેદીએ જણાવ્યું હતું કે શું સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને આતંકી જાહેર કરતા પહેલા કોંગ્રેસને કે પછી મેડમ કે નામદારને પૂછવું જોઇતું હતું? ૨૦૦૯ અને ૨૦૧૪માં ચૂંટણીનું કારણ આપીને કેન્દ્ર સરકારે આઇપીલને મંજૂરી ન આપતા આ મેચો વિદેશમાં રમાઇ હતી. જો કે આ વખતે ચૂંટણીની સાથે દેશમાં જ આઇપીએલ રમાઇ રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IWd2xD
No comments:
Post a Comment