
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર
પંજાબી ગાયક અને ભાજપના ઉત્તર પશ્ચિમ દિલ્હીના લોકસભા ચૂંટણીના ઉમેદવાર હંસ રાજ હંસે કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય નેતાઓ સામે, પોતાની નાલેશી કરવા બદલ બદનક્ષી કેસ કરશે.
આમ આદમી પાર્ટીએ હંસ રાજ હંસ પર આક્ષેપ કર્યો છે કે એમણે ૨૦૧૪માં ધર્માંતર કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોઇ હંસ આ બેઠક પરથી ઉમેદવારી કરી શકે નહિ.
હું ઉર્દુ ભાષા બોલતો હોઉં છું, પરંતુ એનો અર્થ એ નહિ કે હું મુસ્લિમ છું. હિન્દી ભાષા બોલનારી મુસ્લિમ વ્યક્તિ હિંદુ બની જાય છે ? , એમ હંસ રાજ હંસે અત્રે પત્રકારોને જણાવ્યું.
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગઇકાલે ટ્વીટ પર દાવો કરતા જણાવ્યું કે હંસ રાજ હંસ ચૂંટણી લડવા માટે છેવટે ગેરલાયક ઠેરવાશે. મતદારોએ એમની પાછળ પોતાનો મત બગાડવો જોઇએ નહિ.
હંસે એમની સામેના આક્ષેપને ફગાવતા કહ્યું કે જો એમણે ધર્માંતર કર્યું હોત તો એમના પરિવારે એમનો ત્યાગ કર્યો હોત.
હંસે જણાવ્યું કે પોતે વાલ્મિકી પરિવારમાં જન્મ્યા છે. એમના માતા વાલ્મિકીની પૂજા કરે છે. મેં ધર્માંતર કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાનો આક્ષેપ કરીને કેજરીવાલ અને અન્ય આપ નેતાઓએ વાલ્મિકી સમાજની લાગણીઓને પણ દુભવી છે, એમ હંસે જણાવ્યું.
ભાજપે ઉત્તર પશ્ચિમ દિલ્હીના એના વર્તમાન સાંસદ ઉદિત રાજને ટિકિટ નહિ આપતા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીની લોકસભાની સાત બેઠકો પર તા.૧૨ મેએ ચૂંટણી યોજાશે. તા.૨૩મે એ પરિણામો જાહેર થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V2g04V
No comments:
Post a Comment