
સાંસદો, નેતાઓને કામ પર લાગી જવાની અને વીઆઇપી કલ્ચરથી દૂર રહેવા મોદીની સલાહ
નવી દિલ્હી, તા. 25 મે, 2019, શનિવાર
શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએએ લોકસભામાં પોતાના નેતા પસંદ કરી લીધા હતા, જે બાદ મોદીએ સંસદીય સમિતીની બેઠકને સંબોધી હતી, આ બેઠકમાં નવા ચૂંટાયેલા ભાજપના ૩૦૩ સહીત એનડીએના ૩૫૩ સાંસદો હાજર રહ્યા હતા.
સાથે જ પક્ષના વરીષ્ઠ નેતાઓ એલ.કે. અડવાણી અને મુર્લી મનોહર જોશીને પણ મોદીની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મોદીને સર્વસંમત્તિથી સંસદીય સમિતીના નેતા તરીકે પસંદ કરી લેવામાં આવ્યા હતા. જ્યારે રાત્રે આઠ વાગ્યે મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને નવી સરકાર રચવાનો દાવો કરી દીધો હતો.
આ પહેલા સંસદીય સમિતીની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો, મંચ પર મોદીની સાથે અમિત શાહ, અડવાણી, જોશી ઉપરાંત ઉદ્ધવ ઠાકરે, નીતીશ કુમાર, પાસવાન, પ્રકાશસિંહ બાદલ, રાજનાથસિંહ હાજર રહ્યા.
દરમિયાન મોદીએ પોતાના ભાષણમાં દરેકનો આભાર માન્યો હતો સાથે ભાજપ અને એનડીએની જીતના વખાણ કર્યા હતા અને જનતાનો પણ આભાર માન્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ આ વખતે સૌથી વધુ મહિલાઓ સંસદમાં ચંૂટાઇને આવી છે.
મોદીએ સાથે જ નવા અને જુના સાંસદોને અહંકાર અને બડબોલા નિવેદનોથી દુર રહેવાની સલાહ આપી. ટીવી અને અખબારોથી બચીને રહેવું જોઇએ તેમ પણ મોદીએ પોતાના નવા સાથી સાંસદોને કહ્યું હતું. સાથે મોદીએ કહ્યું કે લઘુમતીઓને અત્યાર સુધી ડરાવીને રાખવામાં આવ્યા, ડરનો માહોલ બનાવી તેમને દુર રખાયા અને ચૂંટણી નજીક આવી ત્યારે તેમનો વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. જેમણે અમને મત નથી આપ્યા તેઓ પણ અમારી સાથે જ છે.
મોદીએ સાથે એમ પણ કહ્યું કે સાંસદોએ વીઆઇપી કલ્ચરથી દુર રહેવું જોઇએ, દિલ્હીમાં આવીને સારા સારા લોકો ફસાઇ જાય છે, કોઇ પણ વ્યક્તિ મંત્રી બનવાના નામ પર ફોસલાઇ જાય છે, વીઆઇપી કલ્ચરથી બચીને રહેવાની જરુર છે. એનડીએ પાસે બે મહત્વપૂર્ણ બાબતો છે જેમાં એક છે એનર્જી અને બીજી છે સિનર્જી. મોદીએ સાથે એમ પણ જણાવ્યું હતું કે પ્રચંડ જનાદેશ જવાબદારીઓ પણ વધારી દે છે, ચૂંટણીઓ એકબીજાની વચ્ચેનો ગેપ વધારી દે છે અને દિવાર બનાવી દે છે.
જોકે ૨૦૧૯ની ચૂંટણીએ આ દિવારને તોડી નાખી અને દિલોને જોડયા છે. આ ચૂંટણી સામાજિક એક્તાનું આંદોલન બની ગઇ છે. મોદીએ સાથે જણાવ્યું કે લઘુમતીઓને ડરાવી ધમકાવીને રાખવામાં આવ્યા, દરમિયાન અમિત શાહે પણ મોદીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકો વિચારી રહ્યા છે કે આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નથી થતી જોકે મોદીએ તેમ કરી બતાવ્યું અને આતંકીઓના ઘરમાં ઘૂસીને માર્યા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K2EHMZ
No comments:
Post a Comment