
મુંબઇ, તા. 5 મે 2019, રવિવાર
મહારાષ્ટ્રમાં આ ઉનાળામાં અત્યાર સુધીમાં અસહ્ય ગરમીથી થતી બિમારીના ૨૫૬ કેસ તથા સાત જણાનાં મોત નોંધાયા છે. સૌથી વધુ ૧૦૭ કેસ નાગપુર ડિવિઝનમાં અને તે પછીના ક્રમે અકોલા, લાતુર, નાશિક અને ઔરંગાબાદમાં નોંધાયા છે.
ગરમીનું પ્રમાણ વધતું જાય છે તે સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં ઉષ્માઘાત (લૂ લાગવા)ના કેસની સંખ્યા વધતી જાય છે. આ કારણે ડિરેકટોરેટ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીએચએસ)એ વિશેષ આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ (ઓપીડી) શરૂ કર્યા છે. ગરમીથી થતી બિમારીના અનેક દરદીઓ ઓપીડીમાં જોવા મળે છે.
મહારાષ્ટ્રમાં આ વખતનો ઉનાળો અગાઉ કયારેય ન હોય તેવો આકરો છે તે કારણે હોસ્પિટલો ગેસ્ટ્રો એન્ટ્રિટિસના દરદીઓથી ઉભરાય છે. સંસર્ગજન્ય રોગોના ખાતાના વડા અને રાજ્યના સર્વેલન્સ અધિકારી ડો. પ્રદીપ આપટેએ કહ્યું હતું કે ઉષ્માઘાતના સૌથી વધુ કેસ નાગપુર અને ઔરંગાબાદમાં નોંધાયા હોવા સાથે રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં ગરમીના પ્રકોપમાં સાત જણાનાં મોત થયાં છે.
ગરમીને કારણે થતી બિમારી માટે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા વધતી જતી હોવાને કારણે અમે રાજ્યના તમામ હેલ્થકેર પ્રોવાઈડરો માટે એક સલાહકારી નોંધ (એડવાઈઝરી) જારી કરી છે. આના ઉદ્દેશ રાજ્યના હેલ્થકેર તંત્રને માહિતગાર તથા પૂરતા પ્રમાણમાં તૈયાર રાખવાનો છે એમ તેમણે ઉમેર્યું હતું.
ડિરેકટોરેટ ઓફ મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (ડીએમઈઆર)ના ડિરેકટર ડો. ટી.પી. લ્હાણેએ કહ્યંુ હતું કે ગરમીમાં રાહત મેળવવા લોકો આઈસક્રીમ અને કોલ્ડ્રીંકનો આશરે લેતા હોય છે. લોકો આવી ચીજો ખાય ત્યારે જીવાણુ સંબંધી વિષબાધા થવાની શક્યતા વધુ રહે છે. પરિણામે તેમને ઝાડા ઉલ્ટીની તકલીફ થઈ શકે છે. ઓપીડીના દર પાંચ દરદીએ એક જણાને ગેસ્ટ્રોની તકલીફ હોય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y9hiNw
No comments:
Post a Comment