
- અવાર નવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોને રોગચાળાનો ભય
ગાંધીનગર, તા. 13 મે 2019, સોમવાર
શહેર સમાવિષ્ટ પાલજ ગામમાં પીવાના પાણીની લાઇન લીકેજ થવાથી દુષિત પાણી પીવાની નોબત ગ્રામજનોને આવી છે. જેના પગલે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સમસ્યા અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોમાં પણ રોષ ઉભો થયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પાલજ ગામમાં રાધાકૃષ્ણ મંદિર પાસે આવેલાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ થવાના કારણે ગ્રામજનોને પુરતું પાણી પ્રાપ્ત થઇ શકતું નથી. તો બીજી તરફ પાણીની લાઇન લીકેજ હોવાના કારણે દુષિત પાણી પણ તેમાં ભળી રહ્યું છે અને ગ્રામજનોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
અગાઉ પાણીની અછતના કારણે ગામની મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો હતો અને માટલા ફોડીને વિરોધ પ્રગટ કર્યો હતો. આમ પુનઃ આ પ્રકારની ઘટના ન બને તે માટે ગામના રહીશોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી કે, સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને ગ્રામજનોને ચોખ્ખું પાણી પીવાલાયક મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવાની માંગ ઉઠી છે.
સત્વરે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોને વિવિધ પાણીજન્ય રોગોનો ભોગ બનવું પડશે. ત્યારે લીકેજનું પાણી લાઇનમાં ભરાવાના કારણે દુર્ગંધ યુક્ત પાણી આવે છે. જેના પગલે ઉનાળાની ગરમીમાં ગ્રામજનોને દુર્ગંધ યુક્ત પાણી પીવાની ફરજ પડી રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JhOdfx
No comments:
Post a Comment