મોહાલી, તા. ૫
આઇસીસી વર્લ્ડકપને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયામાં સામેલ ઓલરાઉન્ડર કેદાર જાધવ ઈજાગ્રસ્ત બની ગયો છે. મોહાલીમાં રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં ફિલ્ડિંગ ભરતાં જાધવને ખભાના ભાગે ઈજા થઈ હતી. ચેન્નાઈની ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આ અંગે જાહેરાત કરી છે કે, તેની ઈજા અંગે વધુ અપડેટ તો આવતીકાલે મળશે.જોકે તે આઇપીએલના પ્લે ઓફમાં લગભગ નહી જ રમેતેમ લાગી રહ્યું છે.
મહારાષ્ટ્રનો ઓલરાઉન્ડર જાધવ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી છે. તે મીડલ ઓર્ડરનો અચ્છો બેટ્સમેન છે અને પાર્ટ ટાઈમ સ્પિનર તરીકે પણ સાતત્યભર્યો દેખાવ કરતો રહ્યો છે. પંજાબ સામેની ચેન્નાઈની મેચ દરમિયાન કિંગ્સ ઈલેવનની ઈનિંગની ૧૪મી ઓવર બ્રાવોએ નાંખી હતી.આ દરમિયાન જાડેજાના થ્રો પર ડ્વેન બ્રાવો બોલ પકડી શક્યો નહતો અને ઓવર થ્રોમાં બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો, ત્યારે તેને અટકાવવા માટે જાધવે ડાઈવ લગાવી હતી. આ ડાઈવને કારણે તેને ખભામાં ઈજા થઈ હતી.
આ ઘટના બાદ તેણે તરત મેદાન છોડી દીધું હતુ. આ સમયે ચેન્નાઈનો ફિઝિયો દોડી આવ્યો હતો. તેણે તેને સારવાર આપવાની શરૃ કરી દીધી હતી. જોકે આ પછી જાધવ મેદાન પર ઉતર્યો નહતો. તેના સ્થાને મુરલી વિજયે ફિલ્ડિંગ કરી હતી.
ચેન્નાઈની ટીમના કોચ ફ્લેમિંગે કહ્યું કે, તેનો એક્સરે અને સ્કેનનો રિપોર્ટ આવતીકાલે આવી જશે. અમે આશા રાખીએ છીએ કે, આવી ઘટના ફરી વખત ન બને. તે ખુબ જ અસ્વસ્થ લાગતો હતો. આશા રાખું છું કે, તેની ઈજા ગંભીર ન હોય.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PMrybG
No comments:
Post a Comment