નવી દિલ્હી, તા.૫
ભારતના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે તેની સામેના હિતોના ટકરાવના આક્ષેપને નકારી કાઢ્યો છે, તેની સાથે સાથે આ પરિસ્થિતિ માટે ભારતીય ક્રિકેટ બોર્ડને જવાબદાર ઠેરવ્યું છે. સચિન ક્રિકેટ સલાહકાર સમિતિમાં સામેલ હોવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો આઇકોન પણ છે. જેના અંગે વિવાદ સર્જાયો છે. અગાઉ ક્રિકેટ સલાહકાર સમિતિમાં સામેલ ભૂતપૂર્વ બેટ્સમેન લક્ષ્મણે પણ આ વિવાદ માટે બીસીસીઆઇને જવાબદાર ઠેરવ્યું હતુ.
હિતોના ટકરાવના મામલે ખુલાસો કરવા માટે બીસીસીઆઇના ઓમ્બડ્સમેન રિટાયર્ડ જસ્ટીસ ડિ. કે. જૈનૈ તેંડુલકર સહિતના દિગ્ગજોને નોટીસ ફટકારી હતી. હવે તેંડુલકરે બોર્ડના એથિક્સ ઓફિસરને આપેલા લેખિત જવાબમાં તેમને એવી વિનંતી કરી છે કે, તેઓ, બોર્ડનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વડા વિનોદ રાય અને બોર્ડના સીઇઓ રાહુલ જોહરીને બોલાવે, જેથી મારી (સચિન)ની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે.
તેંડુલકરે હિતોના ટકરાવને ટ્રેસેબલ કોન્ફ્લિક્ટ ન હોવાનું જણાવ્યું હતુ. બોર્ડના બંધારણ અનુસાર ટ્રેસેબલ કોન્ફ્લિક્ટ એવી હોય છે કે, જેનો ઉકેલ લાવી શકાય કે પછી તેને મંજૂર કર શકાય કે તેના આરોપી વ્યક્તિને માફી આપીને ઉગારી શકાય.
બીસીસીઆઇની ક્રિકેટ એડવાઈઝરી કમિટિમાં સામેલ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણને બોર્ડનો ઓમ્બડ્સમેને હિતોના ટકરાવના મામલે નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં લક્ષ્મણે તો ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે, અમે સમિતિએ અમારી ભૂમિકા સ્પષ્ટ કરવા માટે જણાવ્યું હતુ, પણ તેઓએ તો અમારા પત્રનો જવાબ સુદ્ધા આપ્યો નથી.
તેંડુલકરનો પણ આક્ષેપ વિનોદ રાયની સમિતિ જવાબ આપતી નથી
સચિન તેંડુલકરે તેની સામેની હિતોના ટકરવના મામલે ૧૩ મુદ્દામાં જવાબ આપ્યો હતો. તેંડુલકરે તેના જવાબમાં લખ્યું છે કે, તે નિવૃત્ત થયો તેના પછી તરત જ વર્ષ ૨૦૧૩માં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેને 'આઇકોન' જાહેર કરી દીધો હતો. જ્યારે ક્રિકેટ એડવાઈઝરી સમિતિની નિયુક્તિ તો વર્ષ ૨૦૧૫માં થઈ હતી. તે સમયે બીસીસીઆઇના પ્રમુખ તરીકે અનુરાગ ઠાકુર હતા, જેમને પાછળથી સુપ્રીમ કોર્ટના આદેશ પર દૂર કરવામાં આવ્યા હતા. આમ છતાં ક્રિકેટ સલાહકાર સમિતિ જારી રહેવા પામી છે. જોકે એક સમયે ભારતીય ક્રિકેટ બોર્ડમાં આ સમિતિને ઘણી મોટી ભૂમિકા આપવાની વાતો કરનારાઓએ આ સમિતિને માત્ર કોચ પસંદગી સુધી જ સિમિત રાખી દીધી છે. તેંડુલકરે લક્ષ્મણની જેમ તેના જવાબમાં લખ્યું છે કે, અમે સમયાંતરે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને અમારી ક્રિકેટ એડવાઈઝરી કમિટિની ભૂમિકા સ્પષ્ટ કરવા વિનંતી કરી હતી, પણ તે અંગે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
બે દાયકા સુધી ક્રિકેટની સેવા બાદ નોટીસ મળતા આઘાત લાગ્યો
તેંડુલકરે તેના જવાબમાં લખ્યું કે, મેં ભારતીય ક્રિકેટ ટીમ તરપથી બે દાયકાથી વધુ સમય સેવા આપી છે અને હું ભારતીય ક્રિકેટની મદદ કરવા માટે જ ક્રિકેટ એડવાઈઝરી કમિટિમાં જોડાયો હતો. આમછતાં એ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે, મારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે અને બીસીસીઆઇએ તેને ટ્રેસેબલ હિતોનો ટકરાવ ગણાવ્યો છે. આ મામલે ખુલાસો કરવા માટે તો બીસીસીઆઇને બોલાવવું જોઈએ અને તેમની પાસેથી આખા મામલે સ્પષ્ટતા મેળવવી જોઈએ. સચિન તો ક્રિકેટ એડવાઈઝરી કમિટિમાં જોડાયો તેની પહેલાથી મુંબઈની ટીમનો આઇકોન હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LnU3xR
No comments:
Post a Comment