- બેબાકળા બનેલા વાલીઓ દોડયા પણ બચાવી ન શક્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019, શનિવાર
સુરતના સરથાણા તક્ષશિલા આગ દુર્ઘટનામાં ૨૨ જેટલા માસુમોનો ભોગ લેવાયો તેમાં પીપી સવાણી સ્કુલની કમનીસીબ ત્રણ વિદ્યાર્થીની હતી. ત્રણમાંથી બે વિદ્યાર્થીનીઓએ આગ લાગ્યા બાદ પરિવાર સાથે થોડી મીનીટો વાત કરી હતી તે આખરી બની ગઈ હતી. ઋતુએ પોતાના પપ્પને અન ઈશાએ મોટી મમ્મી સાથે વાત કરી કહ્યું હતું ક્લાસમાં આગ લાગી છે જલ્દી આવો. આ વાત સાંભળીને વાલીઓ દોડતાં ટયુશન ક્લાસીસ પહોંચ્યા હતા પરંતુ પોતાની બાળકીઓને બચાવી શક્યા ન હતા.
સરથાણા આગ દુર્ઘટનાનો ભોગ બનેલી ઋતુ સંજયભાઈ સાકરીયા પોતાના વતન ધોરાજી ખાતે લગ્ન પ્રસંગે ગઈ હતી ચારેક દિવસની રજા પરથી આવ્યા બાદ તેને કોર્ષ કવર કરવાનો હોવાથી સવારે ૧૧ વાગ્યે એક્ટીવા પર ક્લાસીસમાં ગઈ હતી. ક્લાસીસમાં જવા પહેલાં ઋતુ પોતાના મમ્મી સ્મીતાબેન અને પપ્પા સંજયભાઈને મળીને ટયુશન ક્લાસીસમાં જાવ છુ ંતેમ કહીને ગઈ હતી. તેનો ભાઈ કપીલ કહે છે, સવા ચારેક વાગ્યે ઋતુનો ફોન તેના પિતા સંજયભાઈ પર આવ્યો હતો અને માત્ર એટલું જ બોલી શકી હતી કે ક્લાસીસમાં આગ લાગી છે જલ્દી આવો.
આટલું કહીને ફોન કટ થઈ જતાં અમે તાત્કાલિક ત્રીકમ નગર સર્વોદય કોમ્પ્લેક્ષથી સીધા સરથાણા પહોંચ્યા હતા. અમે પહોંચ્યા તે પહેલાં તો બિલ્ડીંગ આગી લપેટમાં આવી ગયુ ંહતું ત્યાર બાદ ઋતુ ન હોવાની વાત મળતાં અમે તુટી ગયાં હતા. જે ટયુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં ઋતુ કમ્યુટર ક્લાસીસ સાથે ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કરતી હતી. ધો. ૧૨ની પરીક્ષાનુ આજે પરિણામ આવ્યું તેમાં ઋતુના ૬૩.૬૭ ટકા આવ્યા હતા.
પીપી સવાણીમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ઈશા કાકડીયા પોતાના ઘર શાતિવન સોસાયટી, સરથાણાથી ૩-૩૦ વાગ્યે એક્ટીવા પર નિકળી હતી ત્યારે તેની મમ્મી વર્ષાબેનને મળીને નિકળી હતી અને ટયુશન પુરૂ થયાં બાદ ૬ વાગ્યે આવશે તેવું કહ્યુ ંહતું. જોકે, ટયુશન ગઈને થોડી વારમાં તેની મોટી મમ્મી ભાવના બેન પર ફોન આવ્યો હતો તેવું તેના મોટા પપ્પા અશોકભાઈ કહે છે, ફોન આવ્યો ત્યારે ઈશા ગભરાયેલી હતી અને જલ્દી આવો ટયુશન ક્લાસીસમાં આગ લાગી છે બો ધુમાળો થાય છે કંઈ દેખાતું નથી તેવું કહીને ફોન કટ કરી દીધો હતો.
અમે ક્લાસીસ નજીક જ રહેતા હોવાથી જલ્દી પહોંચી ગયાં પણ અમે અમારી દિકરીને બચાવી શક્યા ન હતા. આ ઉપરાંત પીપી સવાણીમાં ધો. ૧૨ની પરીક્ષા ૭૦.૨૮ ટકાએ પાસ કરનાર રૂમી બલર ફેશન ડિઝાઈનીંગમાં પહેલો દિવસ હતો પરંતુ તે તેનો છેલ્લો દિવસ બની ગયો હતો. આમ પોતાની દિકરીઓ સાથે વાલીઓએ છેલ્લે વાત કરી પરંતુ તેઓ પોતાની દિકરીને બચાવી ન શક્યા હોવાનું દુઃખ તેઓને કાયમ રહેશે તેવું કહે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSEZbA
No comments:
Post a Comment