મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર
દેશમાં કેરીની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે નિકાસ ક્ષેત્રે નબળાઈ બતાવતા સમાચાર આવી રહ્યા છે. ઘરઆંગણે કેરીનું ઉત્પાદન આ વર્ષે અપેક્ષાથી ઓછું થતાં નિકાસ સરપ્લસ પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો છે અને તેની અસર નિકાસ બજાર પર જોવા મળી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દેશમાં આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તર- પ્રદેશ, ગુજરાત, દક્ષિણના રાજ્યો વિ. વિવિધ વિસ્તારોમાં પ્રતિકુળ હવામાનના પગલે કેરીનો પાક અપેક્ષાથી ઓછો ઉતર્યો છે. ઉત્તર- પ્રદેશમાં આ વર્ષે કેરીનો પાક આશરે ૬૦થી ૭૦ ટકા ઓછો બતાવાઈ રહ્યો છે.
ત્યાં આંબાને મ્હોર આવી રહ્યા હતા એ વખતે હવામાન પ્રતિકૂળ રહેતાં પાક ઓછો મનાઈ રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
ઉત્તર- પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર તથા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કેરીનો પાક ઓછો મનાઈ રહ્યો છે. યુ.પી.માં લખનઉ ખાતેના મેન્ગો ગ્રોઅર્સ એસોસીયેશનના જણાવ્યા મુજબ પાછલા વર્ષે ઉત્પાદન આશરે ૧૮૫ લાખ ટન જેટલું થતું હતું તથા વાવેતરનો વિસ્તાર ૨૫ લાખ હેકટર્સનો હતો.
આ પૈકી એકલા ઉત્તર- પ્રદેશમાં આશરે ૨૫ ટકા ઉત્પાદન નોંધાયું હતું.
૨૦૧૭-૧૮માં ભારતથી કેરીની નિકાસ આશરે ૪૯થી ૫૦ હજાર ટન થઈ હતી જે ૨૦૧૬-૧૭માં ૫૨થી ૫૩ હજાર ટન થઈ હતી. ૨૦૧૮-૧૯માં આ આંકડા વધુ નીચા ઉતરવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
નિકાસ બજારમાં પાકિસ્તાનની હરીફાઈ પણ વધી છે. આ ઉપરાંત થાઈલેન્ડની હરીફાઈ પણ વધી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ey3PaO
No comments:
Post a Comment