
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં એક રોડ શો દરમિયાન તેમના પર હુમલો થયો તે ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવી છે. આ ઉપરાંત તેમણે પોતાને મરાયેલી થપ્પડને સમગ્ર દિલ્હીવાસીઓ પર થયેલો હુમલો ગણાવ્યો છે.
નવી દિલ્હીના મોતીનગર વિસ્તારમાં એક રોડ શો દરમિયાન લાલ શર્ટ પહેરેલા એક યુવાને કેજરીવાલની જીપ પર ચડીને તેમને થપ્પડ મારી દીધી હતી. તેમણે ભાજપ પર નિશાન તાકીને જણાવ્યું કે સમગ્ર દેશમાં એકમાત્ર દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષાની જવાબદારી જ વિરોધી પાર્ટી પાસે છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાને રસ્તા પરથી હટાવવા માટે હુમલાઓ થઈ રહ્યા હોવાનું જણાવ્યું. કેજરીવાલે જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં તેમના પર નવ વખત હુમલાઓ કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી બન્યા બાદ તાજેતરમાં પાંચમી વખત તેમના પર હુમલો થયો છે.
તેમણે આ હુમલાને સરમુખત્યારશાહીના ઉદાહરણ સમાન ગણાવ્યો હતો અને જે પણ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવશે તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેમ સૂચવતો હોવાનો ગણાવ્યો.
દિલ્હી પોલીસ પ્રવક્તાએ હુમલો કરનાર સુરેશ ચૌહાણ આપનો સમર્થક હોવાનો અને તેણે પાર્ટીના નેતાઓના વર્તાવથી નારાજ થઈને થપ્પડ મારી હોવાનું જાહેર કર્યું છે. જો કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટરના માધ્યમથી હુમલો કરનારની પત્નીનો હવાલો આપીને તે ભાજપનો સમર્થક હોવાનો દાવો કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J43S23
No comments:
Post a Comment