
ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા કોળી યુવાનનું કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પત્ની, બહેન અને સગા-સબંધીની નજર સામે જ યુવક મોતને ભેટતા અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખેડૂતવાસ, મેલડી માતાની ધાર પાસે, કેસરિયા હનુમાનજી મંદિર નજીક મફતનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ કાનાભાઈ વેગડ (ઉ.વ.૩૦) આજે ચૈત્ર માસની શનિ અમાવસ્યા નિમિત્તે કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવના દરિયામાં સમુદ્રસ્નાન અર્થે ગયા હતા.
દરમિયાનમાં બપોરના ત્રણ વાગ્યાના સુમારે તેઓ તેમના પરિવાર સાથે દરિયાકાંઠે નહાય રહ્યા હતા. ત્યારે અચાનક દરિયામાં આવેલું એક મોટુ મોજુ વિક્રમભાઈ ને ખેંચી ગયું હતું. ઘટનાની જાણ થતાં સગા-સબંધીઓએ બૂમાબૂમો કરી હતી અને દરિયામાં ગરકાવ થયેલા યુવાનને બચાવવા પ્રયાસો હાથ ધરી પાંચ મિનિટ જેટલા સમયગાળામાં જ દરિયામાંથી બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. જો કે, વિક્રમભાઈ માટે અમાસનું સ્નાન અંતિમ સ્નાન બન્યું હોય તેમ તેમનો શ્વાસ થંભી જતા મૃત્યુ થયું હતું. પોતાના પતિ-ભાઈને મૃત હાલતમાં જોતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસ અને ભાવનગર મરિન પોલીસના સ્ટાફે સ્થળ પર દોડી જઈ મૃતદેહને કોળિયાક સીએચસી ખાતે ખસેડયો હતો. જ્યાં કોળિયાકના પૂર્વ સરપંચ જગદીશભાઈ સોલંકી, કોળી સમાજના આગેવાનો, મૃતકના પરિવારજનો દોડી ગયા હતા. યુવાનના મૃત્યુથી બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બનાવ સંદર્ભે મરિન પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y4Rn9L
No comments:
Post a Comment