
ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર
1લી મેથી રાજ્યભરમાં 24 કલાક વેપાર-ધંધા શરૂ રાખવાનો નિયમ અમલી બન્યો છે. ગુજરાતના સ્થાપના દિવસની સાથે અમલમાં આવેલો આ નિયમની હજુ ભાવનગરમાં કોઈ અસર ન હોય તેમ રાત્રે 12 વાગે ત્યાં દુકાનોના આપોઆપ શટર બંધ થઈ જાય છે. આ નિયમથી લોકોની આવકમાં વધારો થઇ શકે પરંતુ રાત્રે મફતીયા અને લુખ્ખા તત્ત્વોની રંજાડ પર કાબુ રાખવો જરૂરી છે.
શહેરમાં નાસ્તાની દુકાનો, પાન-માવાના ગલ્લા, હોટેલ-રેસ્ટોરન્ટના સિવાય લગભગ તમામ વેપારી-ધંધાર્થીઓ રાત્રે 9 થી 10 કલાક વચ્ચે પોતાની દુકાનો બંધ કરી દેતા હોય છે. તો અત્યાર સુધી 11 વાગ્યા પછી જે દુકાનો ખુલ્લી રહેતી તેને પોલીસ બંધ કરાવવા નીકળી પડતી પરંતુ હવે પોલીસની પીસીઆર વાન આવે અને શટર ટપોટપ બંધ થઈ જાય તેવી દ્રશ્યો ભાગ્યે જ જોવા મળશે.
રાજ્ય સરકારે આપેલી 24 કલાક ધંધાની છૂટને કારણે શહેરના કાળાનાળા, ગંગાજળિયા તળાવ, વાઘાવાડી રોડ, સરદારનગર, નારી રોડ વગેરે વિસ્તારો હવે કાયમ રાત્રે પણ ધમધમતા જોવા મળશે. આ વેપારીઓને ફાયદો થશે પણ લુખ્ખા તત્ત્વો અને મફતીયાઓનો ત્રાંસ પહેલા હતો જ અને હવે તે ન વધે તે જોવું રહ્યું.
ભૂતકાળમાં મોડી રાત્રે નાસ્તાની લારી-દુકાનો પર મારામારી, હત્યા જેવા કિસ્સા બન્યા છે. ત્યારે ૨૪ કલાક ધંધાની છૂટના નિયમથી આવી ઘટનાઓ વધે તેવી શક્યતાઓને સામે પોલીસે ધ્યાન રાખવું જરૂરી છે.
આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે નાઈટ પેટ્રોલીંગને વધારવું આવશ્યક બની જશે. વધુમાં રાત્રે પણ દુકાન શરૃ રાખવા ઈચ્છતા વેપારીઓને મહાપાલિકાને લેખિતમાં જાણ કરવી પડશે. આ નિયમ દુકાનો-રેસ્ટોરન્ટ, હોટલો, મેડીકલ સ્ટોર વગેરેને લાગુ પડશે. જ્યારે રેંકડી-નાસ્તાની લારીવાળાઓએ તો હજુ પણ ગુમાસ્તા ધારા મુજબ જે સમયમર્યાદા છે તેમાં જ પોતાનો ધંધો આટોપી લેવો પડશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GZWcvk
No comments:
Post a Comment