
નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિહારમાં રેલીને સંબોધી હતી. છ મેએ પાંચમાં કબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે મોદીએ કોંગ્રેસને વિવિધ મુદ્દે ઘેરી હતી. મોદીએ સાથે ક્રિકેટને પણ પોતાના આ આરોપોમાં આવરી લઇને ટોણો માર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને હાર દેખાઇ ગઇ છે જેને પગલે હવે તે ચૂંટણી પંચ પર આરોપો લગાવવા લાગ્યા છે. મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે ક્રિકેટમાં જે રીતે એક આઉટ થઇ ગયેલો ખેલાડી અમ્પાયર પર બધુ ઢોળે છે તેવી જ હાલત હાલ વિપક્ષની છે.
મોદીએ દાવો કર્યો હતો કે અગાઉ વિપક્ષે ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા, મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને હવે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવા લાગ્યું છે. આ બધા જ આરોપો પોતાની હારને ન સ્વીકારવા માટેના બહાના છે તેમ મોદીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મસૂદ અઝહરને તત્કાલીન ભાજપ સરકારે છોડી મુક્યો હતો. જેને પગલે મોદીએ પણ ટોણો માર્યો હતો અને દાવો કર્યો હતો કે છેલ્લા ૬૦ વર્ષના શાસનમાં કોંગ્રેસે આતંકવાદને પહોંચી વળવા માટે કોઇ જ નક્કર પગલા નહોતા લીધા જેને પગલે ૨૦૧૪ પહેલા દેશમાં અવાર નવાર આતંકી હુમલા થતા હતા.
મોદીએ જણાવ્યું હતું કે અમે સત્તામાં આવ્યા તે પહેલા એક પણ મહિનો એવો નહોતો જતો કે જેમાં આતંકી હુમલો ન થયો હોય. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળો પર આતંકી હુમલા થતા હતા પણ હવે એવુ નથી થતું. મોદીએ ન્યાય યોજનાને લઇને પણ ટોણો માર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની આ જુની ટેવ છે, અગાઉ ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ હતી ત્યારે તેમણે મફતમાં ઘર આપવા સહીતના વચનો આપ્યા હતા. બિહારમાં જદ(યુ) વડા નિતિશ કુમાર અને એલજેપીના વડા રામ વિલાસ પાસવાન સહીતના એનડીએના નેતાઓ પણ હાજર હતા.
જે દરમિયાન મોદીએ આ આરોપો લગાવ્યા હતા. મોદીએ સાથે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કર્યો હતો, જ્યાં રેલીને સંબોધતા સપા, બસપા, કોંગ્રેસને ટાંકીને ટોણો માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પર પ્રહારો કરતા પોતાને બચાવી રહી છે અને આ બધુ જ માયાવતી જોઇ રહ્યા છે, માયાવતીને ખ્યાલ છે કે શું ગેમ ચાલી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DMWMe0
No comments:
Post a Comment