
(પીટીઆઈ) ચંદીગઢ, તા. 4 મે, 2019, શનિવાર
ચંદીગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કિરણ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં બાળકો તેમના માટે પ્રચાર કરતા હોવાનું દર્શાવ્યું હતું.
ચૂંટણી પંચે આ મામલે કિરણ ખેરને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે અને ૨૪ કલાકની અંદર તેનો જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે ત્રણ મેના રોજ કિરણ ખેરને નોટિસ મોકલી હતી જેમાં લખ્યું હતું કે, તેમણે પોતાના ટ્વિટર પર જે વીડિયો શેર કર્યો છે તેમાં બાળકો તેમના માટે પ્રચાર કરતા જોવા મળે છે. વીડિયોમાં બાળકો 'વોટ ફોર કિરણ ખેર' અને 'અબ કી બાર મોદી સરકાર' જેવા નારાઓ બોલતા જોવા મળે છે.
નોટિસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(એનસીપીસીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી પંચને કોઈ પણ અધિકારી કે રાજકીય દળ કોઈ પણ બાળકનો કોઈ પણ પ્રકારની ચૂંટણી ગતિવિધિઓમાં ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
એનસીપીસીઆરે ૨૦૧૭ની સાલમાં ચૂંટણી પંચ પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરે તે માટે અપીલ કરી હતી. કિરણ ખેર ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલ વિરુદ્ધ ચંદીગઢ બેઠકથી મેદાનમાં ઉતર્યા છે. ચંદીગઢમાં ૧૯ મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા દરમિયાન મતદાન થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnFpYp
No comments:
Post a Comment