
- ટ્રક નંબર આધારે માલિક ઝાકીરખાન કુમાવતની ઓળખ
- બે ટ્રક રવાના થઇ ગઇ હોવાની શંકા
વાપી, તા. 4 મે 2019, શનિવાર
પારડી તાલુકાના ખેરલાવ ખાતે શનિવારે મળસ્કે વનવિભાગની સ્ટ્રાઈકિંગ ફોર્સે બાતમીના આધારે દરોડા પાડી ૧૨ ટન છોલેલા ખેરના લાકડાના જથ્થા સાથે ટ્રકને ઝડપી પાડી હતી. જોકે અંધારાનો લાભ લઈ તસ્કરો અને ડ્રાઈવર ભાગી છુટયા હતા. સ્ટ્રાઈકિંગ ફોર્સની સાથે વાપી અને નાનાપોંઢા રેન્જની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જ્યાં બટાકાના બિલની આડમાં ખેર તસ્કરીનું નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવવા પામ્યું છે.
પારડી તાલુકાનું ખેરલાવ ગામ ખેર તસ્કરી માટે એપી સેન્ટર બની રહ્યું છે. બે વર્ષ અગાઉ પણ ખેરલાવ અને આસપાસના ગામોમાંથી કપાયેલા ખેરના લાકડાં મોટી માત્રામાં પકડાયા બાદ ગાંધીનગરથી તપાસ પણ કરવામાં આવી હતી. બે મહિના અગાઉ પણ ખેરલાવ ખાતેથી જ ટેમ્પો ભરીને ખેરના લાકડાં પકડાયા હતા. પરંતુ ખેર તસ્કરો સામે કોઈ પગલાં લેવામાં નહીં આવતાં તેમનું મનોબળ મજબુત બનતાં ખેરની તસ્કરી વધી ગઈ છે.
વનવિભાગની સ્ટ્રાઈકિંગ ફોર્સને મળેલી બાતમીના આધારે શનિવારે મળસ્કે ૩-૦૦ વાગ્યે વાપી અને નાનાપોંઢા રેન્જની ટીમે સંયુક્ત રીતે ખેરલાવ ખાતે દરોડા પાડયા હતા. જેમાં અંદાજિત ૧૨ ટન છોલેલા ખેરના લાકડા ભરેલી ૧૦ પૈડાવાળી ટ્રક (નં.આરજે-૨૭-જીએ-૮૨૮૯) ઝડપી પાડી હતી.
જોકે, વનવિભાગના વાહનની લાઈટનો પ્રકાશ દેખાતાં ખેર તસ્કરો અને ટ્રક ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ભાગી છુટયા હતા. સ્ટ્રાઈકિંગ ફોર્સે હાથ ધરેલી તપાસમાં ટ્રકમાંથી સુરતની કોઈ એજન્સીનુંં બટાકાના જથ્થાની ખરીદી અંગેનું બિલ મળી આવ્યું હતું. જેના પરથી ટીમે આશંકા સેવી છે કે, બટાકાની બિલની આડમાં ખેર તસ્કરીનું નેટવર્ક ચાલી રહ્યુ ંછે.
પકડાયેલા અંદાજિત ૧૨ ટન ખેરના લાકડાની બજાર કિંમત રૂ.૬થી ૭ લાખ આંકવામાં આવી છે. ટીમે ટ્રક નંબરના આધારે તેના માલિક ઝાકીરખાન કુમાવતની ઓળખ કરી શોધખોળ આદરી છે. જોકે, આધારભુત સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સ્ટ્રાઈકિંગ ફોર્સના દરોડા પહેલાં બે ટ્રકો ભરેલા લાકડા રવાના થઈ ગયા હતા.
ખેર તસ્કરી રોકવાના સરકારના દાવા ચૂંટણી વાયદા જેવા સાબિત થાય છે
ખેરના લાકડાની વધતી જતી તસ્કરીને રોકવા રાજ્ય સરકાર દ્વારા થોડા સમય માટે પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો. જોકે ખેર તસ્કરોની તરકીબ સામે સરકારી પ્રતિબંધ અસરકારક નહીં રહેતાં ખેરના લાકડા ચોરીનું બજાર બિન્દાસ્ત ધમધમતું હતું. છેલ્લા બે મહિનામાં વલસાડ વનવિભાગ દ્વારા ખેરનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જે અંગે ઘણા નામચીન ખેર તસ્કરો સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. સાથે દિલ્હીના કાથા ઉત્પાદકોના નામજોગ તપાસ પણ આદરવામાં આવી હોવા છતાં રાજકીય અથવા આર્થિક દબાણના કારણે કોઈ કાર્યવાહી નહીં થતાં ખેર તસ્કરી રોકવાના રાજ્ય સરકારના દાવાઓ ચૂંટણી વાયદાઓ જેવા સાબિત થઈ રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4kCYk
No comments:
Post a Comment