
જેટ એરવેઝના નાણાકીય કટોકટી કેસમાં તપાસ એજન્સીઓ ગોયલની ભૂમિકા તપાસી રહી છે
મુંબઈ, તા. 25 મે, 2019, શનિવાર
મુંબઈ એરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીઓએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પત્નીને શનિવારે મુંબઈ છોડીને લંડન જતા અટકાવ્યા હતા. સૂત્રોનુસાર નરેશ ગોયલ અને તેમના પરિવાર વિરુધ્ધ લુકઆઉટ સર્કયુલર જારી કરવામાં આવેલ છે.
આ સંદર્ભે મુંબઈ એરપોર્ટના એક ઈમિગ્રેશન ઓફિસરે જણાવ્યું હતું કે નરેશ ગોયલ અને તેમના પત્ની અમિતા ગોયલ લંડન જવા નિકળ્યા હતા ત્યારે તેમને દેશ છોડીને જતા રોકવામાં આવ્યા હતા. એરક્રાફટ ટેક્સી-વે સુધી પહોંચી ગયું હતું જ્યાંથી તેને પાછું વાળવામાં આવ્યું હતું અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સૂત્રોનુસાર નરેશ ગોયલ અને તેમના પરિવારજનો વિરુધ્ધ લુકઆઉટ સર્કયુલર જારી કરવામાં આવેલ છે જેથી તેઓ દેશ છોડીને ભાગી શકે નહીં. હાલ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ એન એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ દ્વારા જેટ એરવેઝના કેસોની તપાસ ચાલી રહી છે.
સૂત્રોનુસાર ઈડી દ્વારા ઈતિહાદ એરવેઝના જેટ પ્રિવિલેજ પ્રા. લી.માં કરાયેલા રોકાણની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ જેટ એરવેઝ ૮૫૦૦ કરોડના જંગી દેવા હેઠળ ડૂબેલી હોઈ કર્મચારીઓના પગાર કરવામાં પણ નિષ્ફળ નિવડી છે. આ તમામ રકમ મળીને ૧૧ હજાર કરોડ જેટલી થઈ રહી છે.
જેટ એરવેઝના એક એન્જિનિયરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ નિર્ણય બહુ મહત્ત્વનો છે. સરકારે એક દાખલો બેસાડવાની જરૂર કે આ પ્રકારના કેસમાં સંડોવાયેલી કોઈપણ વ્યક્તિ દેશ બહાર ન જઈ શકે. પરંતુ સરકાર દ્વારા આવું પગલું છેલ્લું ન હોવું જોઈએ. નવી કેન્દ્ર સરકારે જેટ એરવેઝની કામગીરી ફરી શરૂ થાય તે વિશે પણ વિચારવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JEpXnZ
No comments:
Post a Comment