
- કલોલ-દહેગામની ૫૩ શાળાઓને નોટિસ ફટકારી માણસા અને ગાંધીનગરમાં આજથી ઝુંબેશ શરૂ થશે
ગાંધીનગર, તા. 26 મે 2019, રવિવાર
કલેક્ટરના આદેશ બાદ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે અંતર્ગત ફાયરસેફ્ટીના સાધનો અથવા ફાયર વિભાગનું એન.ઓ.સી. ન હોય તેવી શાળાઓને નોટિસ આપવાની કાર્યવાહી કરાઇ છે. રવિવાર હોવા છતાં પણ સ્કુલોમાં તપાસ કરવામાં આવી હતી. કલોલ અને દહેગામની ૫૬ શાળાઓ પૈકી ત્રણ સ્કુલોમાં જ ફાયર વિભાગનું પ્રમાણપત્ર હતું. જેથી બાકી રહેલી ૫૩ સ્કુલોને નોટિસ આપવામાં આવી છે.
સુરતની ઘટના બાદ ગાંધીનગર કલેક્ટરે વિવિધ ટીમો બનાવીને શાળા-હોસ્ટેલમાં ફાયર સેફ્ટી અંગે ખાસ તપાસ કરવા અંગે સૂચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીની સંયુક્ત ટીમો દ્વારા જિલ્લાના ચારેય તાલુકામાં સી.આર.સી., બી.આર.સી. સહિત અન્ય કર્મચારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જરૂરી સુચના આપ્યા બાદ આજે રવિવાર હોવા છતાં કલોલ અને દહેગામ તાલુકામાં તપાસ કરવામાં આવી હતી.
આ બંને તાલુકાની ૫૬ શાળાઓમાં તપાસ દરમિયાન ફક્ત ત્રણ જ શાળામાં ફાયર વિભાગનું એનઓસી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો હતાં પરંતુ ફાયર વિભાગનું પ્રમાણપત્ર ન હતું. તેથી આવી તમામ એટલે કે ૫૩ શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ આપી છે અને સાત દિવસમાં ફાયર વિભાગનું પ્રમાણપત્ર મેળવી લેવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત આવતીકાલથી માણસા અને ગાંધીનગર સ્કુલોમાં તપાસ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં જ્યાં સુધી સ્કુલમાં ફાયર વિભાગનું એન.ઓ.સી. નહીં ત્યાં સુધી સ્કુલ શરૂ થવા દેવામાં આવશે નહીં. શૈક્ષણિક સત્ર શરૂ થઇ જશે પણ ફાયર વિભાગનું પ્રમાણપત્ર નહીં હોય તો પણ સ્કુલો શરૂ કરવા નહીં દેવાય તેમ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિએ જણાવ્યું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WlYe1z
No comments:
Post a Comment