
ગાંધીનગર, તા. 13 મે 2019, સોમવાર
પાટનગરમાં છેલ્લા ઘણા દિવસથી બદલાયેલા વાતાવરણના પગલે અચાનક જ વૈશાખી વાયરા ફુંકાવા માંડયા હોય તેમ લુનું આક્રમણ પણ વધી રહ્યું છે. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં સતત થઇ રહેલાં ઘટાડાના લીધે દિવસે પણ નગરજનો ઉકળાટ ભર્યા વાતાવરણમાં આકુળવ્યાકુળ થઇ ગયા છે. ત્યારે સોમવારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આવીને અટક્યું હતું.
આમ રવિવારે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. પરંતુ દિવસ દરમિયાન ભેજના પ્રમાણમાં થયેલાં ઘટાડાથી ઉકળાટમાં પણ વધારો નોંધાયો હતો. તો બીજી તરફ સોમવારે અચાનક જ મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં તેની અસર સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી હતી. મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકાએ નોંધાયું હતું.
જ્યારે સાંજે ૧૯ ટકાએ પહોંચ્યું હતું. તો બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો ૨૮ ડિગ્રીએ નોંધાતાં વહેલી સવારથી જ ગરમીની અસર શરૂ થઇ ગઇ હતી. ધીમે ધીમે તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો અને દિવસે પણ ગરમ પવનો વચ્ચે લુના આક્રમણથી નગરજનો પણ ત્રસ્ત થઇ ગયા હતા.
થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના લીધે ગરમીમાં આંશિક રાહત અનુભવવા મળી હતી પરંતુ જે રીતે વૈશાખી વાયરાની સાથે સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાઇ રહ્યો છે. તેની અસર હવામાન ઉપર પણ જોવા મળી રહી છે અને ગરમીમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આમ અચાનક જ લુના આક્રમણની સાથે સાથે ભેજનું પ્રમાણ પણ ઘટતાં સમગ્ર દિવસ દરમિયાન નગરજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.
હજુ પણ આગામી દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાશે અને તેની અસર નગરજનોને અનુભવવા મળશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હાલમાં જે પ્રકારનું વાતાવરણ નગરજનો અનુભવી રહ્યાં છે તેના પગલે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું મુનાસીફ માની રહ્યાં છે તો દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાતાં લૂની અસર વચ્ચે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યાં છે.
ગરમીમાં થયેલા વધારાના લીધે મોડી સાંજે લોકો બહાર નીકળવાનું પસંદ કરી રહ્યાં છે તો રાત્રીના સમયે શહેરના મુખ્ય સર્કલો સહિત સેન્ટ્રલ વિસ્ટા તથા અન્ય બગીચાઓમાં પણ ગરમીથી ત્રસ્ત થયેલાં નગરજનોની ભારે ભીડ જોવા મળી રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vVYghR
No comments:
Post a Comment