
નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહની સરખામણી નાઇટ વોચમેન સાથે કરી હતી. મોદીએ મધ્ય પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૪માં જ્યારે કોંગ્રેસને અચાનક તક મળી ગઇ ત્યારે તે સમયે રાજકુમાર પર ન તો પરિવારને ભરોસો હતો ન તો કોઇ અન્યને, તે સમયે પરિવારના વફાદાર વોચમેનને વડા પ્રધાનની ખુર્શી પર બેઠાડવાનું આયોજન કરવામાં આવ્યું.
મોદીએ સાથે જણાવ્યું હતું કે રાજકુમારને ૨૦૦૪થી તાલીમ આપવામાં આવી રહી હતી જોકે તેની આ તાલીમ પાછળ ૧૦ વર્ષ બરબાદ થઇ ગયા છે. પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ સમજદાર થાય તે માટે જ એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. અને ૧૦ વર્ષ માટે દેશ પર એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટરને થોપવામાં આવ્યા તેમ મોદીએ જણાવ્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે હું આતંકીઓએ આપણા લોકોનું જે લોહી વહાવ્યું છે તેના એક એક ટીપાનો બદલો લેવા માટે કટીબદ્ધ છું. જોકે આ તો માત્ર શરૂઆત છે અને દેશમાંથી આતંકવાદને ખતમ કરીને જ રહીશું. આ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરીને જ રહીશું.
દરમિયાન મનમોહનસિંહ ઉપરાંત દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર પણ મોદીએ આરોપો લગાવ્યા હતા. સાથે તેઓએ દાવો કર્યો હતો કે વિપક્ષો એ વિચારી રહ્યા છે કે આ દેશના વડા પ્રધાન પદ પર એક ચા વાળો આટલા લાંબા સમય સુધી ટકી કેવી રીતે ગયો? હાલની એનડીએ સરકાર મજબુત છે અને આતંકવાદ સામે ચોકીદાર સંપૂર્ણપણે એલર્ટ છે.
મોદીએ ઉત્તર પ્રદેશમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો, આ પગલાથી જનતા ખુશ છે પણ મહા મિલાવટ વિપક્ષને ભારતની આ સફળતા સ્વીકારવી નથી ગમી રહી.
સપા-બસપા પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું કે માયાવતી જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે એક જિલ્લાનું નામ સંત રવીદાસ નગર આપ્યું હતું, જોકે અખિલેશની સરકારે તેનું નામ બદલી નાખ્યું હતું. અને આજે આ બન્ને બુઆ અને બબુઆ મળીને મત માગી રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/3004smI
No comments:
Post a Comment