
રાજકોટ,તા. 3 મે 2019, શુક્રવાર
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટ, ગાંધીધામ અને મુંદ્રાની ૧૭ વેપારી પેઢીઓમાં તપાસ હાથ ધરતા રૂા.૯૩૫ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આમાંથી ૧૭ પેઢીઓ રાજકોટની છે. આ પેઢીઓ ખોટા નામથી માત્ર કાગળ પર અસ્તિત્ત્વ ધરાવતી હતી. જેનો ઉપયોગ કરીને કરોડોની જીએસટી ચોરી કરવામાં આવી છે. દોષિતો સામે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહે છે.
છઠ્ઠી ફેબુ્રઆરીએ ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું હતું અને બે શખસોની ધરપકડ પણ થઈ હતી. આ કૌભાંડની વધુ તપાસ કરતા પગેરું રાજકોટ, ગાંધીધામ અને મુંદ્રામાં નીકળ્યું હતું અને બીજું રૂા.૯૩૫.૩૪ કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. લોખંડના સ્ક્રેપ તથા મશીનરી પાર્ટ્સના ખરીદ-વેચાણના બિલ બનતા હતા. અસલમાં કોઈ ખરીદ-વેચાણ થતું નથી. યાને ખરીદ-વેચાણ કોઈ બીજું કરતું હતું અને બિલ કોઈ બીજું બનાવતું હતું. જીએસટીની ચોરી કરી શકાય તે માટે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હતી.
કેટલી જીએસટી ચોરી થઈ છે તેનો હજુ ચોક્કસ કે અનુમાનિત આંકડો વાણિજ્યક વેરા કચેરી દ્વારા મેળવવાનો બાકી છે. તપાસ દરમિયાન મળી આવેલા અમુક શંકાસ્પદ શખસોની તપાસનીશો દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હજુ મોરબીના બોગસ બિલિંગ કૌભાંડનો દાખલો તાજો છે ત્યાં સીએમના હોમ સિટીમાં આવડું મોટું કૌભાંડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈ કાલથી જીએસટી વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે પૂરી થવામાં હજુ દિવસો લાગશે એવું લાગી રહ્યું છે.
બોગસ બિલ ખરીદનારા વેપારીઓ કેમ છટકી જાય છે?
બોગસ બિલિંગ કૌભાંડ ક્યારે થાય છે? જ્યારે વેપારીઓ બોગસ બિલના વિક્રેતાઓ પાસેથી તેની માગણી કરે. અમુક કેસમાં વેપારી પોતે જ ખોટા નામથી જીએસટી નંબર રજિસ્ટર કરી બોગસ બિલ જનરેટ કરતો હોય છે તો અમુક કેસમાં વેપારીઓ આવા બોગસ બિલના વેચાણકર્તાઓ પાસેથી તેની ખરીદી પણ કરતા હોય છે.
જ્યારે બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવે ત્યારે તંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તો પણ માત્ર બિલ જનરેટ કરનારને જ સજા થાય છે. ખરેખર તો આવા બોગસ બિલ જનરેટ કરનારે જેટલા-જેટલા વેપારીઓને તે બોગસ બિલ વેચ્યા હોય તે બધા પણ એટલા જ દોષી છે અને તેઓ પણ સળિયા પાછળ ધકેલાવા જોઈએ.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DHV79B
No comments:
Post a Comment