
- આદિવાસી જનજીવનની સતર્કતા અંગે જાગૃતિના કારણે ૧૦૮ને પ્રતિદિન ૧૦ થી ૧૫ કોલ આવે છે
- ૧૦૮ના કર્મચારીઓ માર્ગમાં જ સારવાર ચાલુ કરી દે છે
વાંસદા, શુક્રવાર
વનરાજીથી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ગરમીનાં અસહ્ય પ્રકોપનાં પરિણામનાં પગલે ૧૦૮ ની ટીમે જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાંથી કુલ ૨૭૬ થી વધુ દર્દીઓને સારવારનાં અર્થે હોસ્પિટલમાં ખસેડી માનવતાની મહેંક પ્રસરાવી છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. જેમાં તાપમાનનો પારો રોજેરોજ ૪૦ ડિગ્રીથી ઉપર વધતો જતા ડાંગ જિલ્લામાં પાણીનાં સ્ત્રોત પણ નીચા તળીયે જવાની સાથે આદિવાસી જનજીવન ઉપર માઠી અસરો જોવા મળી રહી છે.
ભરબપોરે અસહ્ય ગરમી અને બફારાથી ડાંગ જિલ્લો ત્રાહિમામ પોકારી ઉઠયો છે. જેના પગલે બીમારીનું પ્રમાણ પણ વધી જવા પામ્યું છે. તેવામાં ગત છેલ્લા એક મહિનામાં અસહ્ય ગરમીનાં પ્રકોપનાં કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ડાંગ જિલ્લામાંથી કુલ ૨૭૬ થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
જિલ્લામાં અતિશય ગરમીનાં પગલે રોજેરોજ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો દ્વારા ૧૫ થી વધુ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવે છે, ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં પેટના દુઃખાવાનાં ૭૨ કેસ, બ્લડપ્રેશરનાં ૩ કેસ, છાતીમાં દુઃખાવાનાં ૧૬ કેસ, ચક્કર આવવાનાં ૧૫ કેસ, પડી જવાનાં ૨૪ કેસ, ઝાડાનાં ૭૨ કેસ, બેભાન અવસ્થાનાં ૨૦ કેસ તથા ઉલટીનાં ૫૪ કેસ મળી કુલ ૨૭૬ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આદિવાસીઓની સતર્કતાને આભારી
ડાંગ જિલ્લાનાં ૧૦૮ નાં જિલ્લા અધિકારી મનોજકુમાર વિશ્વકર્માએ એપ્રિલ મહિનાની વિગતો આપતા જણાવ્યું હતું કે આખા મહિનાનાં અતિશય તડકાને કારણે જુદી જુદી બિમારીના ૨૭૬ જેટલા કેસો નોંધાયા હતા, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પણ ૧૦૮ એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવાઓ પહોંચાડવામાં તેઓને સફળતા મળતા તથા આદિવાસી જનજીવનની સતર્કતા અને જાગૃતતાને પગલે રોજેરોજ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૧૦ થી ૧૫ કોલ આવતા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે તુરંત જ પહોંચી જઈ કર્મચારીઓ દ્વારા માર્ગમાં પણ દર્દીઓને સારવાર ચાલુ કરી દઈ તેઓને હોસ્પિટલમાં સમયસર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LmsSDq
No comments:
Post a Comment