
- વરાછા તથા મહીધરપુરાની નટવર ચીનુ તથા અંબેલાલ હરગોવન આંગડીયા પેઢીની ભરુચ-વડોદરાની બ્રાંચમાં પણ ઇન્કમટેક્સ વિભાગની તપાસ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર
સુરત ઈન્કમ ટેક્સ વિભાગે મોડી સાંજે સુરતના વરાછા તથા મહીધરપુરા વિસ્તારમાં આવેલી બે આંગડીયા પેઢી પર તપાસ હાથ ધરીને કુલ રૂ.૬૦ લાખની રોકડ રકમ જપ્ત કરી છે.
સુરતની આંગડીયા પેઢીઓમાં મોટા પાયા પર નાણાંકીય હેરફેર થઈ રહી હોવાની સુરત ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટીગેશન વિંગને બાતમી મળી હતી. જે બાતમીના આધારે ઈન્કમ ટેક્સ વિભાગના ૧૦ અધિકારીઓની ટીમે સુરતના મહીધર પુરાની અંબેલાલ હરગોવન તથા વરાછા વિસ્તારની નટવર ચીનુ આંગડીયા પેઢીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી છે. આંગડીયા પેઢીના સુરત ઉપરાંત ભરુચ તથા વડોદરાની બ્રાંચ પણ ઈન્કમ ટેક્સ વિભાગના સકંજામાં આવી છે.
ઈન્કમ ટેક્સ વિભાગની પ્રારંભિક તપાસ દરમિયાન બંને આંગડીયા પેઢીના ધંધાકીય સ્થળો પરથી અંદાજે રૂ.૬૦ લાખની રોકડ રકમ મળી આવી છે. અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે તાજેતરમાં મધ્યપ્રદેશમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડીને ૨૮૦ કરોડથી વધુ રોકડ રકમ કબજે કરી છે. ત્યારબાદ હવે સુરતની બંને આંગડીયા પેઢીઓના નાણાંકીય વ્યવહારો તથા ગતિવિધી પર બાજ નજર રાખી આયકર વિભાગે અત્યાર સુધીમાં કુલ ૧.૨૫ કરોડની રોકડ જપ્ત કરી છે. જેના પગલે મોટા પાયા પર રોકડની હેરફેર કરતા વ્યવસાયી વર્ગમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iymkil
No comments:
Post a Comment