
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
ભાવનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશ્નરની નોકરીની મુદ્દત ફરી વધારવાનો ઓર્ડર તાજેતરમાં આપવામાં આવતા એક વકીલે જિલ્લા કલેકટર કચેરીમાં આચારસંહિતા ભંગની લેખીત ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ વધુ માહિતી અધિકારીએ આપી ન હતી.
મહાપાલિકાના નાયબ કમિશ્નર જનરલ જે.એ.રાણા આશરે દોઢ વર્ષ પૂર્વે નોકરીમાંથી નિવૃત થઈ ગયા હતા અને નિવૃતી બાદ કમિશ્નરે નીયમ મુજબ તેઓની સત્તાનો ઉપયોગ કરી નાયબ કમિશ્નર રાણાને નોકરીમાં ૬ માસનુ એક્સ્ટેંશન આપ્યુ હતું. ત્યારબાદ સક્ષમ સત્તાની મંજુરી બાદ નોકરીમાં વધુ 1 વર્ષનુ એક્સ્ટેંશન આપવામાં આવ્યુ હતું. તેઓની મુદ્દત ગત તા. 27 માર્ચે પૂર્ણ થતી હતી પરંતુ મહાપાલિકાના કમિશ્નર ગાંધીએ તેઓની નોકરીમાં વધુ ૬ માસનુ એક્સ્ટેંશન આપ્યુ છે. કમિશ્નરે એક્સ્ટેંશનનો ઓર્ડર ગત તા. 8 માર્ચે કર્યો હતો પરંતુ ઓર્ડરની કોપી તેઓએ ગત તા. 27 માર્ચે ઈન્વર્ડ કરાવી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સરકારી તંત્રમાં બદલી-બઢતી સહિતના નિર્ણય માટે ચૂંટણી પંચની મંજુરી લેવી પડતી હોય છે પરંતુ આ એક્સ્ટેંશન ઓર્ડરમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે તેથી તપાસ કરી યોગ્ય પગલા લેવા વકીલ લાકડીયાએ લેખીત ફરિયાદ કરી છે.
આ ફરિયાદના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે તપાસ હાથ ધરી છે. મહાપાલિકા પાસેથી ચૂંટણી અધિકારીએ રીપોર્ટ પણ મંગાવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. આ ફરિયાદમાં શુ નિર્ણય આવે છે ? તેની રાહ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ જોઈ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આચારસંહિતા ભંગ જેવુ જણાય છે અને વધુ તપાસ શરૃ છે. વધુ માહિતી તેઓ ન આપી શકે તેમ તેઓએ જણાવ્યુ હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV3TVp
No comments:
Post a Comment