
- માતાની હાજરીમાં મોટાએ ગુસ્સામાં કહયું, તને મારી નાંખીશ, નાના ચપ્પુ આપી કહયું લે માર અને આવેશમાં ખરેખર ચપ્પુ મારી દીધું
વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ ઇશ્વરનગરમાં ગત રાત્રે જમતી વખતે છાશ ઢોળાતા થયેલા ઝઘડામાં મોટા ભાઇએ નાના ભાઇની છાતીમાં ચપ્પુનો એક ઘા મારતાં નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી મોટા ભાઈની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના તળાજાનો વતની અને સુરતના વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ ઈશ્વર નગરમાં માતા ધીરૂબેન અને મોટાભાઈ રાજુ (ઉ.વ.૨૫) સાથે રહેતો ઘનશ્યામ ભુપતભાઈ વાળા (ઉ. વ. ૨૦) રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા પખવાડિયાથી તે બેકાર હતો. દરમિયાન, ગત રાત્રે બંને ભાઈઓ માતાની હાજરીમાં જમવા બેસેલા હતા તે સમયે ઘનશ્યામથી છાશ ઢોળાતા તે સાફ કોણ કરશે ? તે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન બોલાચાલી થતાં રાજુએ ઘનશ્યામને તને મારી નાખીશ તેમ કહેતા ઘનશ્યામે રાજુને ચપ્પુ આપી લે માર તેમ કહ્યું હતું.
આવેશમાં આવી ગયેલા રાજુએ ઘનશ્યામની છાતીમાં ચપ્પુનો એક ઘા ઝીંકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘનશ્યામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રાજુએ જ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા વરાછા પોલીસે ઘણી સમજાવટ બાદ ઘનશ્યાની માતા ધીરૂબેનની ફરિયાદના આધારે રાજુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ એમ પી પટેલ કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uZ5e4Y
No comments:
Post a Comment