મુંબઇ તા.31 માર્ચ 2019,રવિવાર
વિવિધ ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) બિસ્માર હાલતમાં હોવાનું દર્શાવતી તસવીરો વાયરલ થવા સાથે મુંબઇ મહાનગર પાલિકા અને રેલવેમાં પફડાટ વ્યાપ્યો છે. જોખમને ટાળવા માટે સત્તાવાળાઓ હવે શંકાસ્પદ પુલોને બંધ કરી રહ્યા છે.
આનાં તાજેતરના ઉદાહરો મુંબઇ સેન્ટ્રલ અને ડોમ્બિવલી ખાતેના પુલનાં છે મુંબઇ સેન્ટ્રલ બ્રિજને આજે તથા ડોમ્બિવલી બ્રિજને આવતીકાલે સોમવારે બંધ કરવામાં આવશે. વિવિધ પાલિકાઓ તથા રેલવેના સત્તાવાળાઓએ મુંબઇ તથા તેના મેટ્રોપોલિટન રીજનના ૭૩ એફઓબીનું નીરીક્ષણ સંયુક્ત રીતે હાથ ધર્યું છે.
મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન ખાતેના ચર્ચગેટ તરફના એફઓબીના કેટલાક હિસ્સાને આજે બંધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે (પ.રે.)ના મુખ્ય જન સંપર્ક અધિકારી રવિન્દ્ર ભારકરે જણાવ્યું હતું કે આ એફઓબીનું મોટું સમારકામ તથા તેની મજબૂતાઇ વધારવાનું કામ અમે હાથ ધરીશું તે બાદ ૧૫મી એપ્રિલથી તેને લોકોપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
આ જ પ્રમાણે મધ્ય રેલવે (મ.રે.) પણ ડોમ્બિવલી સ્ટેશન ખાતેના એફઓબીને બંધ કરશે. આ ઉપરાંત કલ્યાણ સ્ટેશનના કસારા તરફના એફઓબીનું તોડકામ પણ આજે શરૂ કરવામાં આવ્યું હતું.
સમારકામ હેઠળના અન્ય એફઓબી દાદર ખાતેના છે મુંબઇ મહાનગર પાલિકા દ્વારા જાળવણી કરાતા ફૂલ બજાર જવા માટેના સાર્વજનિક એફઓબીને બંધ કરવામાં આવ્યો છે. મલાડ સ્થિત પાલિકાના પુલને મોટા સમારકામ માટે ત્રણ મહિના માટે ૨૮મી જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે. પ.રે.એ. ખાર સ્થિત એફઓબીને સમારકામ માટે ૬૦ દિવસ પૂરતો બંધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેને દાદર, ઘાટકોપર, ભાંડુપ, સીએસએમટી, મલાડ, કલ્યાણ, ટીટવાલા, પનવેલ અને માટુંગા ખાતેના પુલોની દુરસ્તી સંબંધી ફરિયાદો મળી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JVY3VJ
No comments:
Post a Comment